નવી દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા ધમાસાણનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં પહોચી ચુક્યો છે, ત્યારે હવે CBIના ટોચના ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચેના જંગનો આ મામલે સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં CBIના નંબર ૧ અને નંબર ૨ને લઈ ચાલી રહેલા આ ધમાસાણ અંગે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન CVC દ્વારા કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે.
CVC દ્વારા સીલબંધ કવરમાં કુલ ૨ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યા છે. જો કે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા CBI મામલાની સુનાવણી આગામી શુક્રવાર સુધી તાળી દેવામાં આવી છે.
સેન્ટ્રલ વિજીલન્સ કમિશન દ્વારા આ મામલાને લઇ તપાસ કરી છે અને તેને લઈ તેઓ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાના છે. આ ઉપરાંત CVCની સામે રજા પર ઉતારી દેવામાં આવેલા CBIના ટોચના ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની પૂછતાછ પણ કરવામાં આવી ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લાંચકાંડમાં ફસાયેલી તપાસ એજન્સી CBIના ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ૨ અધિકારી રાકેશ અસ્થાનાને ૨૩ ઓક્ટોબરના રોજ રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને ઓફિસરો દ્વારા આ નિર્ણય વિરુધ કોર્ટમાં પોતાની અરજી દાખલ કરી છે.
દિલ્હી હાઇકોર્ટ તરફથી અસ્થાનાએ મળી ચુક્યો છે ઝટકો
હૈદરાબાદના બિઝનેસમેન સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે CBIના બીજા નંબરના ટૉચના અધિકારી રાકેશ અસ્થાના વિરૂદ્ધ નોંધવામાં આવેલી FIR બાદ તેઓએ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને FIR રદ્દ કરવાની માંગ કરી હતી.
જો કે રાકેશ અસ્થાના કરવામાં આવેલી માંગના ગણતરીના કલાકોમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેઓને એક ઝટકો આપતા FIR રદ્દ કરવાની માંગને ફગાવી હતી.