દિલ્હી,
ભારે વિવાદ બાદ સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. એ પછી આલોક વર્માએ સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરીને કેન્દ્ર સરકારના આ આદેશને પડકાર્યો હતો. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેન્ચે આલોક વર્માની અરજી પર સુનવણી કરતાં જણાવ્યું હતું કે, સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે ચીફ વીજીલન્સ કમિશનરને બે સપ્તાહમાં તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આ તપાસને જસ્ટીસ એકે પટનાયક સુપરવાઇઝ કરશે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારીને એ પણ પૂછ્યુ છે કે, કયા આધારે આલોક વર્માને રજા પર મોકલવામાં આવ્યા છે.
સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, એન નાગેશ્વર રાવ સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર તરીકે કામગીરી ચાલુ રાખશે પણ પોલિસીને લગતા નિર્ણયો નહીં લઇ શકે. દરમિયાન 23 ઓક્ટોબર સુધી તેમણે જે પણ નિર્ણયો લીધા છે તેને બંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવશે.
આ મામલાની વધુ સુનાવણી 12 નવેમ્બરે થશે.
એટર્ની જનરલ કે કે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલામાં 3 સપ્તાહનો સમય માંગ્યો હતો. આલોક વર્મા તરફથી સિનિયર વકિલ એફ એસ નરિમન અને સંજય હેગડેએ દલીલો કરી હતી.
આલોક વર્મા તરફથી નરીમને સુપ્રીમ કોર્ટને કહ્યું કે, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટેબલિશમેન્ટ એક્ટ લાગુ થવો જોઈએ.
બીજી તરફ રાકેશ અસ્થાના તરફથી પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે પોતાને રજા પર ઉતારવાના નિર્ણય સામે અને આલોક વર્માને સીબીઆઈના ડિરેક્ટર પદ પરથી હટાવવાની માગણી સુપ્રિમ કોર્ટમાં કરી છે. અરજીમાં રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે, તેમને સીબીઆઈના શિકાર બનાવવામાં આવ્યા છે.