દિલ્હી હાઇકોર્ટે બુધવારે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર એકે શર્માને સીવીસી ઓફિસમાં રાકેશ અસ્થાના સામે થયેલી એફઆઇઆરની તપાસ કરવાની પરવાનગી આપી છે.
દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ નજમી વઝીરીએ ગુરુવારે સીવીસી ઓફીસ જવા માટે પૂછ્યું હતું. આલોક વર્માના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અસ્થાનાની અરજી બદઇરાદાઓથી ભરેલી હોવાના આરોપો છે. ઉપરાંત એકે શર્માને પણ શુક્રવારે તપાસ માટે સીવીસી ઓફિસમાં જવાની મંજૂરી આપવામાં આવી છે.
રાકેશ અસ્થાનાએ લાંચના કેસમાં એમના વિરુદ્ધ થયેલી એફઆઈઆર રદ્દ ઠેરવવાના કેસમાં કોર્ટે 7 ડિસેમ્બર સુધી સીબીઆઈને યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો છે.
કોર્ટ દ્વારા અસ્થાના, વર્મા અને એક વચેટિયા મનોજ પ્રસાદની અલગ-અલગ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી.
ગઈ સુનાવણીમાં એકે શર્માના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, અસ્થાના દોષી હોવાના પુરાવા એમની પાસે છે, અને સીલબંધ કવરમાં કોર્ટ સમક્ષ રજુ કરશે. જેના પર કોર્ટે પુરાવા સીબીઆઇમાં જમા કરાવવા કહ્યું હતું.
આ પહેલા એપેક્સ કોર્ટે કહ્યું હતું કે, સીવીસીએ વર્મા સામેના ભ્રષ્ટાચારના આરોપોમાં ઘણા અસ્પષ્ટ તારણો કર્યા છે અને અમુક આરોપોમાં વધારે તપાસની જરૂર છે.
આલોક વર્માએ એપેક્સ કોર્ટમાં એમને એમની ફરજો પરથી દૂર કરવાના અને એમને રજા પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી કરી હતી.