છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા કોંગ્રેસ છત્તીસગઢના સુપ્રીમો અજિત જોગી છત્તીસગઢ વિધાનસભાની કોઈ પણ સીટ પરથી ચૂંટણી નહિ લડે. અજિત જોગીના પુત્ર અમિત જોગીએ શુક્રવારે આનું એલાન કર્યું હતું. અમિત જોગીએ જણાવ્યું કે, બસપા અને સીપીઆઈના ગઠબંધન બાદ બધાના સુઝાવ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, અજિત જોગીએ મુખ્યમંત્રી ડો. રમણસિંહ વિરુદ્ધ રાજનાંદગામ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. અમિત જોગીએ જણાવ્યું કે, બસપા સુપ્રીમો માયાવતી તેમજ અન્ય સહયોગીઓએ સુઝાવ આપ્યો કે પાર્ટી સુપ્રીમો અજીત જોગીને ફક્ત એક સીટ પર સીમિત રાખવા નથી. એમના પર બધી 90 વિધાનસભા સીટોની જવાબદારી છે. એટલે પાર્ટીએ એમને ચૂંટણી નહિ લડાવવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે બસપાના બે પ્રદેશ પ્રભારી લાલજી વર્મા અને એમએલ ભારતી અજિત જોગીને મળવા પહોંચ્યા હતા. બંનેએ અજિત જોગી અને અમિત જોગી સાથે બેઠક કરી હતી. ત્યારબાદ અમિત જોગીએ અજિત જોગી ચૂંટણી નહિ લડે એવું એલાન કર્યું હતું.