નવી દિલ્હી,
છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનો સફાયો કરતા કોંગ્રેસે ભારે બહુમતી મેળવી હતી. જો કે ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તેને લઇ અનેક નામ સામે આવી રહ્યા હતા, પરંતુ અંતે ભૂપેશ બઘેલના નામ પર કળશ ઢોળાયો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચર્ચા વિચારણા બાદ ભૂપેશ બઘેલના નામ પર અંતિમ મહોર માળી છે.
રવિવારે રાયપુરમાં યોજવામાં આવેલી ધારાસભ્યોની બેઠકમાં તેઓનું નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે.
છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામ માટે પ્રદેશના ચાર દિગ્ગજ નેતા ભૂપેશ બઘેલ, ટી એસ સિંહદેવ, તામ્રધ્વજ સાહૂ અને ચરણદાસ મહંતનું નામ સામે આવી રહ્યું હતું, થયેલી ચર્ચા-વિચારણા બાદ અંતે ભૂપેશ બઘેલનું નામ રાજ્યના આગામી કેપ્ટન માટે ફાઈનલ કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીની ૯૦ બેઠકોમાં કોંગ્રેસ પાર્ટીને ૬૮ સીટો પર વિજય મેળવ્યો હતો અને ભાજપનો સુપડા સાફ કરતા ૧૫ વર્ષના એકચક્રી શાસનનો અંત આણ્યો હતો.