મુંબઈ,
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે સોમવારે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હાંકી કાઢવાની પ્રક્રિયાને ગેરકાયદેસર ઠેરવતી સાયરસ મિસ્ત્રીની અરજીને ફગાવી દીધી હતી. એનસીએલટીની મુંબઈ શાખાએ ટાટા સન્સની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કોઈ એક્ઝીક્યુટીવ ડિરેક્ટર ને દૂર કરવા માટે સક્ષમ છે.
એક રિપોર્ટ મુજબ એનસીએલટીએ ફેંસલો આપતા કહ્યું કે ટાટા સન્સ ના બોર્ડે અને એના સભ્યોએ મિસ્ત્રી પરનો વિશ્વાસ ગુમાવી દીધો હોવાથી એમની હક્કાલપટ્ટી કરવામાં આવા હતી. મિસ્ત્રી એ એમની અરજીમાં કહ્યું હતું કે ટાટા સન્સ ના ચેરમેન પદેથી એમને ગેરકાયદેસર રીતે હટાવવા માં આવ્યા હતા.
એમણે ટાટા સન્સ માં કથીત ગેરવહીવટ, લઘુમતી શેર ધારકોનું દમન, કોર્પોરેટ ગવર્નન્સનો અંત અને ટાટા ટ્રસ્ટ દ્વારા અતિશય દખલગીરી વગેરે આરોપો લગાવાયા હતા.ટાટા ગ્રુપે જવાબમાં કહ્યું હતું કે મિસ્ત્રીની હક્કાલપટ્ટી ગેરકાયદેસર નહતી. અને તેઓને ટાટા સન્સની કામગીરીની જાણકારી હતી.
જણાવી દઈએ કે સાયરસ મિસ્ત્રીએ રતન ટાટાની નિવૃત્તિ બાદ 2012માં ટાટા સન્સનું ચેરમેન પદ સંભાળ્યું હતું. મિસ્ત્રી ટાટા સન્સ ના છઠ્ઠા ચેરમેન હતા. એમને ઓક્ટોબર 2016માં એમના પદેથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6 ફેબ્રુઆરી 2017ના રોજ એમને બોર્ડ ઓફ ડિરેક્ટરના પદે થી પણ દૂર કરવામાં આવ્યા હતા.
સાયરસ મિસ્ત્રી અને એમનો પારિવારિક બિઝનેસ સાયરસ ઇન્વેસ્ટમેન્ટ ચલાવે છે. એમણે એનસીએલટી માં ટાટા સન્સ વિરુદ્ધ લઘુમતી શેર ધારકોના રતન ટાટા દ્વારા દમન અને ગેરવહીવટનો આરોપ લગાવ્યો હતો.