મુંબઈ,
આવતીકાલે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઘરની હરાજી કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે, ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ પહેલા દાઉદ મુંબઈમાં આજ ઘરમાં રહેતો હતો. આ ઘર મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં આવેલ છે ત્યારે આ હરાજી પહેલા હિંદુ ધાર્મિક ગુરુ સ્વામી ચક્રપાણી મહારાજે જાહેરાત કરી છે કે તેઓ દાઉદનુ આ ઘર ખરીદીને ત્યાં સાર્વજનિક શૌચાલય બનાવશે. મોટાભાગના લોકો દાઉદના ડરના કારણે હરાજીમાં તેની સંપત્તિને ખરીદવાની હિમ્મત પણ કરી શક્તા નથી ત્યારે ચક્રપાણી મહારાજનુ કહેવુ છે કે દાઉદ સાથે મારે કોઈ અંગત દુશ્મની નથી. પરંતુ આ ઘર ખરીદીને હું આતંકવાદના ભયને ખતમ કરવા માંગુ છું. તેમજ જાહેર શૌચાલય બનાવીને તેનો સામાન્ય લોકોના હિતમાં ઉપયોગ કરવા માંગુ છું.
ચક્રપાણી મહારાજે જણાવ્યુ હતું કે, દાઉદ જેવા લોકો કાયર હોય છે. તેઓ માત્ર ધમકીઓે આપી જાણે છે. સરકાર રોનક અફ્રોઝ હોટલ સહિત દાઉદ સાથે જાડાયેલ ૫ સંપત્તિની હરાજી કરવાની છે. સરકારે બે વર્ષ પહેલા પણ દાઉદની મનાતી આ સંપત્તિઓની હરાજી કરવા પ્રયત્ન કર્યો હતો. જાકે દાઉદ ઈબ્રાહિમના ભયના કારણે કોઈએ આ સંપત્તિ ખરીદી નહતી. ત્યારે આવતીકાલે ફરી તેની હરાજી થશે. ત્યારે આવતીકાલે એ પણ ખબર પડી જશે કે દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ ખરીદવામાં કોણ સફળ થાય છે.
મહત્વનુ છે કે, આ પહેલા વર્ષ ૨૦૧૫માં ચક્રપાણી મહારાજે દાઉદની કાર હરાજીમાં ખરીદી હતી અને ત્યારબાદ જાહેરમાં તે કારને સળગાવી દીધી હતી.