પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાજીવ ગાંધીની હત્યા જેવી પ્લાનિંગના ખુલાસા બાદ, હવે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસને પણ ધમકીભરી ચિઠ્ઠી મળી છે. મહારાષ્ટ્ર સીએમની ઓફીસના એડ્રેસ પર માઓવાદીઓની બે ચિઠ્ઠી આવી છે. ચિઠ્ઠીમાં દેવેન્દ્ર ફડનવીસ અને એમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ખુલાસો થયો છે.
મહારાષ્ટ્ર ગૃહ મંત્રાલયના સુત્રોના જણાવ્યા મુજબ આ ચિઠ્ઠીઓમાં ગઢચીરૌલી એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યાં 38 માઓવાદીઓને ઢેર કરી દેવામાં આવ્યા હતા. બંને ચિઠ્ઠીઓ મળ્યા બાદ સીએમ આવાસ અને સીએમ ઓફીસ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે બંને ચિઠ્ઠી પોલીસને સોંપી દીધી છે, મામલાની તપાસ ચાલી રહી છે.
આ બંને ચિઠ્ઠીઓ પાંચ પાનાની છે અને મે 2018માં લખવામાં આવી છે. પીપલ્સ લીબરેશન આર્મીએ આ ચિઠ્ઠીઓમાં હાલમાં થયેલા એનકાઉન્ટરનો પણ ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને ગઢચીરૌલી જેવા એનકાઉન્ટર વિશે લખવામાં આવ્યું છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે આ એનકાઉન્ટરના કારણે સંગઠનને ઘણું નુકસાન થયું છે.
જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીને લઈને પણ આવી એક ચિઠ્ઠી સામે આવી છે. હકીકતમાં પુણે પોલીસે શુક્રવારે કોરેગામ હિંસા સાથે સંબંધ રાખવા વાળા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપ છે કે આરોપીઓનો પ્રતિબંધિત ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી) સાથે સંબંધ છે. પોલીસને આરોપીઓમાંથી એક ના ઘરે ચિઠ્ઠી મળી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માઓવાદી રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી સાઝીશ કરી રહ્યા છે.