નવી દિલ્હી,
તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ અને કર્ણાટકમાં સરકાર બનાવવા માટે નિષ્ફળ નીવડેલી ભાજપની મોદી સરકાર હવે મોટો નિર્ણય કરવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા પોતાના કર્મચારીઓને રાહત પેકેજ આપવાનું એલાન કરી શકે છે. આ નિર્ણયથી અંદાજે ૫૦ લાખ જેટલા કર્મચારીઓઓને સીધો જ ફાયદો થઇ શકે છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મોદી સરકાર પોતાના ૫૦ લાખ જેટલા કર્મચારીઓના ઓછામાં ઓછા વેતન અને તેઓની વય મર્યાદા વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે.
આ પ્રસ્તાવની મંજૂરી મળ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓનું ન્યૂનતમ વેતન ૧૮૦૦૦થી વધી ૨૧૦૦૦ રૂપિયા જયારે વયમર્યાદા પણ ૬૦ વર્ષથી વધારી ૬૨ વર્ષ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કર્મચારીઓ દ્વારા પોતાના ન્યૂનતમ વેતનમાં વૃદ્ધિની માંગણી થઇ રહી છે, ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા આ માંગણીને સ્વીકારવાની તૈયારીમાં છે.
જો કે કેન્દ્રીય કર્મચારીઓના યુનિયન ન્યૂનતમ વેતન માટે ૨૬૦૦૦ રૂપિયા કરવાની માંગણી કરી રહ્યા છે. આ મામલે સરકાર દ્વારા કમિટી પણ બનાવવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મહત્વનું છે કે, તાજેતરમાં દેશભરમાં યોજેલી પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ઘણું નુકશાન થયું છે તેમજ પાર્ટીનો લોકો પ્રત્યે વિશ્વાસ પણ ઘટી રહ્યો છે, ત્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા પોતાના કર્મચારીઓને રાજી કરવા માંગે છે અને ફરીથી રાજધાની દિલ્લીનો કિલ્લો ફતેહ કરવા માંગે છે.
આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સાતમાં પગાર પંચને અમલી બનાવવામાં આવ્યું છે અને તેનો ફાયદો કર્મચારીઓને ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી મળી રહ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા એક આદેશ બહાર પાડીને કર્મચારીઓની ગ્રેચ્યુટીની સીમા પણ ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરવામાં આવી છે.