ચેન્નઈ,
દક્ષિણ ભારતની રાજનીતિના મુખ્ય આધારસ્તંભ અને DMKના પ્રમુખ કરુણાનિધિએ મંગળવાર સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. ૯૪ વર્ષની ઉંમરે કરુણાનિધિનું નિધન થયા બાદ પુરા તમિલનાડુ રાજ્યમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેઓના સમર્થકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે અને તેઓ રોડ પર આવી ગયા છે.
બીજી બાજુ તમિલનાડુ રાજ્યના પાંચવાર મુખ્યમંત્રી રહેલા એમ કરુણાનિધિના મૃતદેહને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રાખવામાં આવ્યો છે. જો કે આ દરમિયાન અચાનક જ અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને ભાગદોડ મચી જઈ છે. જો કે આ દરમિયાન લોકોની ભીડ પર કાબુ ન રહેતા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંતિમ દર્શન દરમિયાન થયેલી ભાગદોડમાં અત્યારસુધીમાં ૨ લોકોના મૃત્યું થયા છે તેમજ ૪૦ લોકો ઘાયલ થયા છે અને તેઓને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
તમિલનાડુના પૂર્વ સીએમ એમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરિના બીચ પર જ કરવામાં આવશે. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારના વિરોધને બરતરફ કરતા કરુણાનિધિની અંત્યેષ્ઠી મરિના બીચ પર સાંજે ૫ વાગ્યે કરવાની પરવાનગી આપી છે.
એમ કરુણાનિધિના નિધનની ખબર સાથે જ દેશના તમામ દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓએ તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્ત, કમલ હસન સહિતના હસ્તિઓ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા છે.
આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતની હસ્તીઓએ ટ્વિટ કરીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી.