નવી દિલ્હી,
વર્ષોથી લંબિત એવા રામ મંદિરના મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી વધુ એકવાર ટાળી દેવામાં આવી છે, ત્યારબાદ હવે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દેશના આ બહુચર્ચિત મુદ્દે રાજકીય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
આ વચ્ચે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ રામ મંદિરને લઈ એ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, આ મામલાનું વાતચીત દ્વારા સમાધાન કરવું જોઈએ હતું, કોર્ટ સુધી જવાની કોઈ જરૂરત જ ન હતી”.
તેઓએ વધુમાં કહ્યું, “ભગવાન રામ તમામ લોકોના ભગવાન છે, કાયદો બનાવીને રામ મંદિર બનાવવું એ યોગ્ય નથી. જેથી જે દિવસે આ મામલે સમાધાન થઇ ગયું તો હું પોતે જ ઈંટ લગાવવા માટે જઈશ”.
બીજી બાજુ NDA ગઠબંધનમાં ભાજપની સાથી પાર્ટી શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું, “આ મામલે સુનાવણી મહત્વની છે પરંતુ સુપ્રીમ કોર્ટની સુનાવણીથી મંદિર બનશે નહિ. જેથી અમારી માંગ છે કે, અધ્યાદેશ દ્વારા જ રામ મંદિર બનાવવામાં આવે”.
૧૦ જાન્યુઆરી ટાળવામાં આવી સુનાવણી
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાયેલી સુનાવણી ૧૦ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.
અયોધ્યાની વિવાદિત જન્મભૂમિનો મામલો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની ખંડપીઠ સમક્ષ લિસ્ટેડ છે. બીજી બાજુ આ દરમિયાન ખંડપીઠ અલ્હાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર ૨૦૧૦ના નિર્ણય વિરુધ દાખલ કરાયેલી ૧૪ અપીલો પર સુનાવણી માટે ત્રણ જજોની એક બેન્ચનું ગઠન કરાઈ શકે છે.
આ મામલે ૧૦ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટની બેંચ નક્કી કરી કરશે કે રામ મંદિર અંગે આગામી સુનાવણી ક્યારે થશે. આ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવશે કે આ મામલાની સુનાવણી કઈ બેંચ કરશે.