નોઇડા
નોઇડામાં બહલોલપુર ગામમાં રવિવારે રાત્રે એક મકાનમાં આગ લાગી હતી. આ આગના લીધે ૧૨ લોકો દાઝી ગયા હતા. ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું જે આ મકાનમાં ૨૪થી પણ વધુ લોકો ભાડે રહેતા હતા.
રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે શોર્ટ-સર્કીટના લીધે આગ લાગી હતી જેને લીધે મોટરસાઇકલ પણ બળીને ખાખ થઇ ગઈ હતી.
થોડી જ વારમાં આ આગ આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી. આગના લીધે મકાનમાં રહેતા લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા. લોકો સીડી દ્વારા નીચે ઉતરતા હતા તે દરમ્યાન આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં આશરે ૧૨થી પણ વધુ લોકો દાઝી ગયા છે જેમાંથી ૫ લોકોની હાલત ગંભીર છે.
આગ જે જગ્યાએ લાગી હતી તે જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમને પહોચવું મુશ્કેલ થઇ પડ્યું હતું. પોલીસ અને આસપાસના લોકોએ પણ આ આગને કાબુમાં લાવવા માટેની મદદ કરી હતી.