હાલ દેશમાં ફેક મેસેજ ફરતા થયા બાદ ટોળા દ્વારા માર મારીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાઓ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે આવા મેસેજ ફેલાતા અટકાવવા માટે વોટ્સએપને દરમિયાનગીરી કરવા માટે કહ્યું છે. ભારતમાં વોટ્સએપના લગભગ 200 મિલિયન યુઝર્સ છે. ભારત જ નહીં વોટ્સએપ દુનિયાભરમાં સૌથી વધારે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે. સતત ફેક ન્યુઝ અને ફેક વીડિયોઝના ફેલાવાને કારણે ફેસબુક માટે આ એપ્લિકેશન માથાનો દુઃખાવો બની ગઈ છે. ફેસબુક આમ પણ પ્રાઇવસી ઈશ્યૂના કેસનો સામનો કરી રહી છે. વોટ્સએપ ફેસબુકની માલિકીની છે.
તાજેતરમાં બાળકોનું અપહરણ કરતી ગેંગ ફરતી હોવાના મેસેજ વોટ્સએપ પર ખૂબ વાયરલ થયા હતા. આ મેસેજને કારણે અનેક જગ્યાએ નિર્દોષ લોકોએ ટોળાના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં ટોળાએ બાળક ચોર ગેંગ સમજીને પાંચ લોકોની હત્યા કરી નાખી હતી.
આઈટી મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે વોટ્સએપના સીનિયર મેનેજમેન્ટ સમક્ષ આવા મેસેજના ફેલાવા અંગે અસંમતિ વ્યક્ત કરી છે, સાથે તેમને એવી સલાહ પણ આપી છે કે આવા મેસેજને ફરતા રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આવું કૃત્ય કરનાર લોકો સામે યોગ્ય એજન્સી કાર્યવાહી કરી રહી છે. પરંતુ જે રીતે સતત ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે તેનાથી અમે ચિંતિત છીએ. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે યુઝર્સ જ્યારે સેવાનો દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે મેસેજિંગ પ્લેટફોર્મ પોતાની ફરજ અને જવાબદારીમાંથી છટકી શકે નહીં. સરકારે આ અંગે વોટ્સએપને તાત્કાલિક પગલાં લેવાનું કહ્યું છે. જોકે, ફેસબુક અને વોટ્સએપ તરફથી સરકારની આવી વિનંતી અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.