જમ્મુ,
દેશભરમાં અતિ પવિત્ર મનાતી એવી બાબા બર્ફાનીની અમરનાથની યાત્રા બુધવારથી શરુ થઇ ગઈ હતી. બુધવાર સવારે સુરક્ષાના પુખ્ત બંદોબસ્ત વચ્ચે ૧૯૦૪ યાત્રીઓનું પ્રથમ ગ્રુપ બાલટાલ અને પહલગામથી રવાના થયું હતું. જો કે બીજા દિવસે બાલટાલમાં થયેલા ભારે વરસાદના કારણે હાલ પુરતી આ યાત્રા રોકવામાં આવી છે.
ગાંદરબલ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ડો. પિયુષ સિંગલાએ જણાવ્યું, “અમે ભારતીય હવામાન વિભાગના સતત સંપર્કમાં છીએ અને આ પરિસ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ”.
બીજી બાજુ યાત્રીઓએ કહ્યું હતું કે, તેઓને આશા છે કે, “ટુંક સમયમાં જ આ યાત્રા શરુ કરવા માટે પરવાનગી મળી જશે”. બાલટાલ અને પહલગામમાં બુધવાર રાત્રે થયેલા ભારે વરસાદના કારણે યાત્રાના માર્ગ પર પરિસ્થિતિ ખરાબ છે ત્યારે યાત્રાળુઓનું આગળ વધવું મુશ્કેલીભર્યું છે.
મહત્વનું છે કે, બુધવાર સવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બી વી આર સુબ્રમણ્યમ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના બે સલાહકાર વિજય કુમાર અને બી બી વ્યાસે યાત્રીઓની પ્રથમ ટુકડીને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી.
અમરનાથ યાત્રા માટે ૨ લાખ યાત્રીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું, “અત્યારસુધીમાં ૨.૧ લાખ યાત્રીઓએ આ પવિત્ર યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બીજી બાજુ પ્રથમવાર અમરનાથ જવાવાળા વાહનોમાં રેડિયો ફ્રિકવન્સી ટેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે CRPFની મોટરસાઈકલો પણ સક્રિય રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓમાં સતત વધારો થયો છે તેમજ આ પવિત્ર યાત્રા માટે પણ પહેલેથી જ હાઈ એલર્ટ જોવા મળ્યું હતું ત્યારે સુરક્ષાના તમામ બંદોબસ્ત કરાયા છે.