મુંબઇ,
મુંબઇમાં ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીન્ગેશ મેવાણીના એક કાર્યક્રમને પોલિસે રદ કરતાં મામલો બિચક્યો હતો. મુંબઇના ભાઇદાસ હોલમાં ગુરૂવારે વિદ્યાર્થીઓ સાથે જીગ્નેશ મેવાણીનો સંવાદનો કાર્યક્રમ હતો. જે પોલિસ દ્રારા રદ કરાતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
હાલ મહારાષ્ટ્રમાં જાતિગત તોફાનોને લઇને તંત્ર ભારે એલર્ટ પર છે ત્યારે આવા સમયે દલિત નેતા જીગ્નેશ મેવાણી અને જેએનયુથી જાણીતા બનેલા વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદનો મુંબઇમાં એક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.મુંબઇના ભાઇદાસ હોલમાં છાત્ર ભારતી સભામાં બંને નેતાઓ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના હતા.
જો કે મુંબઇની હાલની તણાવ ભરેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલિસ ભાઇદાસ હોલ પાસે પહોંચી હતી અને કાર્યક્રમ કેન્સલ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે સવારથી આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં જવાનો આગ્રહ રાખતા પોલિસ સાથે સંઘર્ષ થયો હતો. અહીં હાજર વિદ્યાર્થીઓએ સુત્રોચ્ચાર કરતાં પોલિસે બળપ્રયોગ કરીને વિદ્યાર્થીઓને ખદેડ્યા હતા. ઉશ્કેરાયેલાં વિદ્યાર્થીઓએ પોલિસ કાર્યવાહી સામે નારાબાજી કરતાં પોલિસે બળપ્રયોગ કરીને તેમને સભા સ્થળેથી ખસેડ્યા હતા.
આ કાર્યક્રમને લઇને મુંબઇ પોલિસનું કહેવું હતું કે, હાલ મહારાષ્ટ્રમાં બનેલાં હિંસક બનાવોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અર્થે આવા કાર્યક્રમોને પરમીશન આપી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, પુનામાં ઉશ્કેરણીજનક ભાષણ બદલ જીન્ગેશ મેવાણી અને ઉમર ખાલીદ સામે ડક્કન જીમખાના પોલિસ સ્ટેશનમાં પોલિસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.