પ્રયાગરાજ,
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીથી આગામી ૩ માર્ચ સુધી ચાલનારા કુંભમેળાને લઈ ખુબ ચર્ચાઓ જોવા મળી રહી છે. કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા આ કુંભથી રાજ્ય સરકારને મોટો ફાયદો થવાની આશંકા છે.
ઇન્ડસ્ટ્રીઝ બોડી કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કુંભના આયોજનથી ઉત્તરપ્રદેશ માટે ૧.૨ લાખ કરોડ રૂપિયાનું રાજસ્વ ઉભું થશે .
CIIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુંભ એક આધ્યાત્મિક અને ધાર્મિક આયોજન છે, પરંતુ આ આયોન સાથે જોડાયેલી બીજી ગતિવિધિઓથી ૬ લાખ લોકોને રોજગારી પણ મળશે.
આ સેકટરમાં લોકોને મળશે નોકરી
CIIના રિપોર્ટ મુજબ, હોસ્પિટાલિટીસેક્ટરમાં ૨.૫ લાખ લોકોને રોજગારી મળશે જયારે એરલાઇન્સ અને એરપોર્ટ પેર અંદાજે ૧.૫ લાખ લોકો માટે નોકરીના અવસર ઉભા થશે.
આ ઉપરાંત ટૂર ઓપરેટર્સના ૪૫ હજાર લોકો, ઇકો ટુરિઝમ અને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રના ૫૦ હજાર લોકોને નવી નોકરીઓ મળશે.
૧૨ કરોડ લોકો આવવાની છે શક્યતા
૫૦ દિવસ સુધી ચાલનારા આ કુંભમેળામાં અંદાજે ૧૨ કરોડ લોકો આવાની શક્યતા છે, જેમાં વિદેશના શ્રદ્ધાળુઓ પણ શામેલ છે. વિદેશી શ્રદ્ધાળુઓ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા, યૂકે, કેનેડા, મલેશિયા, સિંગાપુર, સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે અને શ્રીલંકા જેવા દેશોમાંથી આવવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુપી સરકાર દ્વારા ૫૦ દિવસ સુધી ચાલનારા આ કુંભ માટે ૪૨૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમ ૨૦૧૩ના મહાકુંભની તુલનામાં ત્રણ ગણી છે અને આ અત્યારસુધીમાં સૌથી મોટો કુંભમેળો છે.