પટના,
બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં ૩૪ સગીર વયની છોકરીઓ સાથે રેપ કેસ મામલે સનસનાટી ભર્યા ખુલાસા સામે આવ્યા છે. આ મામલે રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આરજેડી નેતા અને લાલુપ્રસાદ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સહિતની વિરોધી પાર્ટીઓએ હુમલો બોલ્યો છે, ત્યારે હવે રવિવારે પટના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનું એક નિવેદન સામે આવ્યું છે.
રાજ્યના પાટનગર પટના ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નીતિશ કુમારે કહ્યું, “લાખ સારા કામો કર્યાં બાદ માત્ર એક ખરાબ કામ સામે આવી જાય ત્યારે ચારેબાજુથી ટીકાઓ થાય છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “અમે કોઈને પણ છોડવાના નથી.અમે આજ દિવસ સુધી કોઈ પણ મામલે સમજુતી કરી નથી. બાકી અમારી જ ટીકાઓ કરવી હોઈ તો કરો”.
નીતિશ કુમારે ઉમેર્યું હતું કે, “આ મામલે થઇ રહેલી કાર્યવાહી અને સકારાત્મક પગલાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. એક નકારાત્મક ઘટના થઇ ગઈ છે, તો તેને લઈને ચાલી રહ્યા છે. જે પણ ગડબડ કરશે તે જેલમાં જશે. તેઓને બચાવનારા પણ નહિ બચે, તે પણ જેલમાં જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મુજફ્ફરપુર શેલ્ટર હોમના રેપ કેસ મામલે બિહારથી લઇ રાજધાની દિલ્હી સુધી મુખ્યમંત્રીની ટીકાઓ થઇ રહી છે. આ પહેલા શનિવારે દિલ્હીના જંતર મંતર પર આરજેડી નેતા તેજસ્વી યાદવ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, શરદ યાદવ સહિતના અનેક વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા.
આ પહેલા શુક્રવારે આયોજિત એક કાર્યક્રમમાં બિહારના CMએ જણાવ્યું, “અમે ઈચ્છીએ છીએ કે, CBIની તપાસને હાઈકોર્ટ મોનીટર કરે. આ મામલે કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહિ”. ખબર નહિ આજ કાલ કયા પ્રકારની માનસિકતાવાળા લોકો અમારા સમાજમાં છે. આ એક પ્રકારનું પાપ છે“.
ચાર્જસીટમાં થયા હતા ચોકાવનારા ખુલાસા
મહત્વનું છે કે, કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આ શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર તરીકે કામ કરતુ હતું. આ બાલિકાગૃહમાં રહેનારી છોકરીઓ સાથે યૌન શોષણ પછી ગર્ભવતી હોવાની સ્થિતિમાં જબરદસ્તીથી આ થિયેટરમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.
આ ઉપરાંત ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, શેલ્ટર હોમમાં તેઓને ૬૭ પ્રકારની નશીલી દવાઓ અને ઈન્જેકશન પણ મળ્યા છે. આ તમામ દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ છોકરીઓને બેહોશ કરવા માટે થતો હતો અને બાદમાં તેઓ સાથે બળાત્કાર કરવામાં આવતો હતો.
મુજફ્ફરપુર મામલે મુખ્ય આરોપી સહિત ૯ની કરાઈ ધરપકડ
મુજફ્ફરપુરના બહુચર્ચિત એવા શેલ્ટરહોમ રેપ કેસ મામલે ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાનો મામલો સામે આવ્યા બાદ મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સહિત ૯ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના ક્યારે સામે આવી ?
આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૩૪ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.
આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.
જો કે ત્યારબાદ વિપક્ષના હુમલા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલાની તપાસ CBIને સોંપી હતી અને CBIએ કેસ પણ દાખલ કર્યો હતો.