મુંબઈ,
મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ અને ATSના પૂર્વ ચીફ હિમાંશુ રોયે આત્મહત્યા કરી લીધી છે. શુક્રવારે IPS ઓફિસર રોયે પોતાની સર્વિસ રિવોલ્વર દ્વારા જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓએ પોતાના સરકારી ઘરમાં શુક્રવાર બપોરે લગભગ ૧.૪૦ વાગ્યે પોતાની જ સર્વિસ રિવોલ્વર દ્વારા મોમાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તેઓ ૫૪ વર્ષના હતા.
મહત્વનું છે કે, મુંબઈ પોલીસના ટોચના અધિકારીઓમાંના એક હિમાંશુ રોયની આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ બહાર આવી શક્યું નથી.
ગોળી માર્યા બાદ ઘાયલ થયેલા રોયને લઇ પરિવારજનો તરત જ બોમ્બે હોસ્પિટલ પહોચ્યા હતા પરંતુ હોસ્પિટલ પહોચતા જ ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.
કોણ હતા હિમાંશુ રોય
૧૯૮૮ બેચના IPS ઓફિસર હિમાંશુ રોયનું નામ ૨૦૧૩માં સામે આવેલા IPL સ્પોટ ફિક્સિંગન મામલામાં વિંદુ દારા સિંહની ધરપકડ, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના ડ્રાઈવરનું એન્કાઉન્ટર, પત્રકાર જે ડે હત્યા પ્રકરણ, વિજય પાલાંડે – લૈલા ખાન ડબલ મર્ડર જેવા અનેક હાઇપ્રોફાઇલ કિસ્સાઓમાં જોડાયેલું છે.
અન્ડરવર્લ્ડ કવર કરનારા ક્રાઈમ રિપોર્ટર જે ડે હત્યાના કેસની ગુત્થી ઉકેલવામાં પણ હિમાંશુ રોયે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

કેન્સરથી પીડિત હતા IPS ઓફિસર હિમાંશુ રોય
પ્રાપ્ત જાણકારી મુજબ, પૂર્વ ATS ચીફ હિમાંશુ રોય કેન્સરથી પીડિત હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, એપ્રિલ ૨૦૧૬માં તેઓએ મેડિકલ લીવ પણ લીધી હતી. ATS ચીફ રહેતા તેઓએ પહેલીવાર સાઈબર ક્રાઈમ સેલ સ્થાપિત કર્યો હતો
આ મહત્વના પદો પર પોતાની જવાબદારી નિભાવી ચુક્યા છે પૂર્વ ATS ચીફ
- અન્ડરવર્લ્ડ માટે ખૌફનું નામ બનેલા હિમાંશુ રોય હાલમાં મહારાષ્ટ્રના ADGP (હાઉસીંગ)ના પદ પર નિયુક્ત હતા.
- આ પહેલા તેઓ મહારાષ્ટ્રના ADGP (પ્લાનિંગ એન્ડ કોર્પોરેશન)ના પદ પર હતા.
- તેઓ મહારાષ્ટ્ર ATSના ચીફ રહી ચુક્યા હતા.
- ૨૦૦૯માં તેઓને મુંબઈના જોઈન્ટ કમિશનરના પદ પર પણ નિયુક્ત કરાયા હતા.
