નવીન પટનાયકની આગેવાની હેઠળની ઓરિસ્સા સરકારે સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત માટેનો ઠરાવ પસાર કર્યો છે. જોકે, મહિલા અનામત બિલ સંસદમાં પહેલેથી જ અનિર્ણિત છે.
ભાજપે સત્તા પર આવ્યા પહેલા આ બિલ અમલમાં મુકવાનું વચન આપ્યું હતું. જોકે, ભાજપ સરકાર મહિલાઓના અમુક મુદ્દાઓ જેવા કે, ત્રણ તલાક અને બેટી બચાઓ બેટી પઢાઓ પર જ ધ્યાન આપી રહી છે.
ઠરાવ જાહેર કરતા સમયે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જણાવ્યું કે, નવું ઓરિસ્સા ખુબ ઝડપથી આગળ વધશે. ઓરિસ્સા જ એવી જગ્યા છે જ્યાં મહિલાઓ ખરેખર સત્તાધારી છે અને દેશના વિકાસમાં સામેલ છે.
આ ઠરાવ પસાર કરવા માટેનો મુખ્યમંત્રીનો નિર્ણય 2019ના લોકસભા અને વિધાનસભા ચૂંટણીના થોડા માસ પહેલા જ લેવામાં આવ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવાનું છે કે, આ નિર્ણયથી પાટનાયકને ભાજપ સામે લડવામાં મદદ મળશે.
આ સ્પષ્ટ છે કે પટનાયક પોતાને એક એવી વૈચારિક સ્થિતિમાં લાવી રહ્યા છે, જે ભાજપ અને કોંગ્રેસથી અલગ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પાટનાયકના આ નિર્ણયને ચૂંટણી માટેનો એક સ્ટંટ માનવામાં આવ્યો છે.