નવી દિલ્હી,
નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા બાદ દુનિયામાં તેઓની લોકપ્રિયતામાં પણ ઘણો વધારો થયો છે. સાથે સાથે પીએમ મોદીની ગણના વિશ્વના એ લીડરોમાં થાય છે જેઓને સૌથી વધુ ખતરો છે, ત્યારે આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એકવાર જીવથી મારી નાખવાની ધમકી મળી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ધમકી દિલ્હીના પોલીસ કમિશ્નરને મોકલવામાં આવી છે અને આ જોઇને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.
દિલ્હી પોલીસ કમિશ્નરના ઈ-મેલ આઈડી પર પીએમ મોદીનો ધમકી ભર્યો સંદેશ આપવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નરને મોકલવામાં આવેલા એક લાઈનના સંદેશમાં વર્ષ ૨૦૧૯નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દિવસ અને મહિના અંગે પણ જણાવવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ મેલ આસામના કોઈ જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. પીએમને મોદીને જીવથી મારી નાખવાની ધમકી ભર્યો મેલ મળ્યા બાદ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે.
મહત્વનું છે કે, આ પહેલા ભીમા-કોરેગાવ હિંસાની તપાસમાં પણ પીએમ મોદી વિરુધ જીવથી મારી નાખવા અંગેના ષડયંત્રનો ખુલાસો થયો હતો.
આ અંગે કરાયેલી તપાસમાં લેફ્ટ સાથે જોડાયેલા લોકોના કેટલાક પત્ર મળ્યા હતા, જેમાં પીએમ મોદી વિરુધ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી જેવી જ ઘટનાને અંજામ આપવાના કાવતરાનું સામે આવ્યું હતું. જો કે ત્યારબાદ આ મામલે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.