અમદાવાદ: લોકસભાની ચૂંટણી અગાઉ સવર્ણ સમાજના મતોને અંકે કરવામાં માટે PM નરેદ્ર મોદી અને તેની સરકાર દ્વારા આર્થિક રીતે પછાત એવા સવર્ણ વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આવો નિર્ણય કરનાર મોદી સરકાર પહેલી નથી. ભૂતકાળમાં પણ કોંગ્રેસ સરકારના તત્કાલિન PM દ્વારા પણ ગરીબ સવર્ણ વર્ગના લોકોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેને નકારી કાઢવામાં આવ્યો હતો. ત્યારે મોદી સરકારનો આ નિર્ણય સફળ નીવડશે કે માત્ર ચૂંટણી પૂરતો સીમિત રહેશે તે જોવું રહ્યું.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપની નરેન્દ્ર મોદી સરકારે મોટો દાવ રમ્યો છે. આર્થિક રીતે પછતા ઊંચી જાતિને મનાવવા માટે સરકારે અનામત આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે આર્થિક રીતે પછાત એવા ઊંચી જાતિ (સવર્ણ વર્ગ)ના લોકોને 10 ટકા અનામતને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ અનામતનો ફાયદો એવા લોકોને મળશે કે, જેની કમાણી કે વાર્ષિક આવક 8 લાખથી ઓછી છે.
દલિત નેતાઓએ પણ કરી હતી તરફેણ
આ પહેલા ગરીબ સવર્ણો માટે અનામતની માંગને SC/STનું રાજકારણ કરનારા અનેક નેતા પણ યોગ્ય ઠેરવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલે, લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી પણ સામેલ છે. આ નેતાઓએ ગરીબ સવર્ણોને 15થી 25 ટકા અનામત આપવાની વાત કહી હતી.
નવો નથી સવર્ણોને અનામત આપવાનો મામલો
વર્ષ 1991માં મંડલ કમિશનનો રિપોર્ટ અમલી બન્યા થયા બાદ તત્કાલિન વડાપ્રધાન પી.વી. નરસિંહા રાવે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે, વર્ષ 1992માં સુપ્રીમ કોર્ટ દ્વારા તેને ગેરબંધારણીય કરાર ગણાવીને નકારી કાઢવામાં આવ્યો હતો.
વાજપેયીની સરકાર દ્વારા મંત્રી સમૂહની રચના કરાઈ હતી
આ પછી ભાજપની અટલ બિહારી વાજપેયીની સરકાર દ્વારા ગરીબ સવર્ણ વર્ગના લોકોને અનામત આપવા માટે વર્ષ 2003માં એક મંત્રી સમૂહની રચના કરવામાં આવી હતી. જોકે, તેનો ફાયદો થયો ન હતો અને વર્ષ 2004ની ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હારી ગઈ હતી.
મનમોહન સિંહની સરકારમાં કમિટી રચાઈ હતી
આ પછી વર્ષ 2006માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની મનમોહન સિંહની સરકાર દ્વારા પણ એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ એવા આર્થિક રીતે પછાત વર્ગોનું અધ્યયન કરવાનું હતું કે, જે હાલની અનામત વ્યવસ્થાના દાયરામાં આવતા નથી. જો કે તેનો પણ કોઈ જાતનો ફાયદો થયો ન હતો.
દલિતોનું રાજકારણ કરનારા નેતાઓ પણ લાભ ખાટે છે
સવર્ણ અનામતના મામલે સિનિયર પત્રકાર રશીદ કિડવાઈએ જણાવ્યું હતું કે, દલિતોનું રાજકારણ કરનારી પાર્ટીઓ પણ પોતાનો દાયરો વધારવા માંગે છે, તેથી તેઓ ગરીબ સવર્ણોને અનામત આપવાની વાત કરી રહ્યા છે. સવર્ણોના અસંતોષમાં તેમને અવસર દેખાય છે. વર્ષ 2007માં બ્રાહ્મણોને સાથે લઈને માયાવતી સત્તામાં આવ્યા હતા.
પરંતુ દલિત નેતાઓની આ પહેલ માત્ર કાગળ પર અને ચૂંટણીલક્ષી લાગે છે. તેઓ માત્ર સવર્ણોને પોતાના પક્ષે કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ બની શકે છે. કારણ કે આવું નિવેદન આપનારા નેતા પણ જાણે છે કે, આર્થિક આધારે અનામત આપવાનો રસ્તો અનેક પડકારોથી ભરેલો છે. તેથી આટલી જલદીથી તેને લઈને કોઈ પણ સરકાર કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકે તેમ નથી.