રાજકોટ,
રાજકોટના એક તબીબ દંપત્તિના લગ્નજીવનની તકરારના કારણે તેમની બિમાર પુત્રીએ સહન કરવાનું વારો આવ્યો અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો છે.
રાજકોટના ડૉક્ટર દંપતી ડૉ. મયુરી અને ડૉ. શૈલેષ મુંધવા હવે તેમની 4 વર્ષીય થેલેસેમિયાગ્રસ્ત દીકરી ન્યારા માટે કઈ ટ્રીટમેન્ટ વધુ સારી રહેશે તે માટે હાઇકોર્ટના દ્રારે આવીને ઉભું છે.
બોન મેરો ટ્રીટમેન્ટમાં ક્યા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી તે બંને દંપત્તિ વચ્ચે વિવાદનો મુખ્ય મુદ્દો
થેલેસેમિયા માટે આપવામાં આવતી બોન મેરો ટ્રીટમેન્ટમાં ક્યા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી તે બંને દંપત્તિ વચ્ચે વિવાદનો મુખ્ય મુદ્દો છે. 2012માં ડો.મયુરી અને ડો.શૈલેષ મુંધાવાના લગ્ન થયા હતા અને 2015માં દીકરી ન્યારાનો જન્મ થયો હતો. જો કે બાળકી જન્મથી જ વારસાગત બ્લડ ડિસઓર્ડરથી પીડિત છે.
બાળકીની ટ્રીટમેન્ટ અંગે પત્નીના અભિપ્રાયને પતિએ રિસ્કી અને મોંઘો ઉપાય ગણાવીને નકારી દીધો છે જ્યારે પત્ની આ ટ્રીટમેન્ટ માટેનો ખર્ચો પતિ ઉઠાવે તેવું ઇચ્છી રહી છે.
જસ્ટીસ સોનિયા ગોકાણીએ દર્દીની હાલત જોતા બે અન્ય નિષ્ણાંતો પાસેથી તાત્કાલિક અભિપ્રાય માગ્યો
હાઇકોર્ટના જસ્ટીસ સોનિયા ગોકાણીએ દર્દીની હાલત જોતા બે અન્ય નિષ્ણાંતો પાસેથી તાત્કાલિક અભિપ્રાય માગ્યો છે કે બાળક માટે ક્યા પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય છે. બંને નિષ્ણાંતો સીલ બંધ કવરમાં કોર્ટ સમક્ષ મંગળવારે પોતાનો અભિપ્રાય રજૂ કરશે.
પરિવારના કોઈ સાથે બાળકીનો બોન મેરો મેચ ના થતાં બાળકી ન્યારાની સ્થિતિ વધુ ગંભીર થવા લાગતા તેની માતાએ બેંગલુરુ ખાતે પોતાની દીકરીની સારવાર કરાવવાનું વિચાર્યું. જેના માટે અંદાજીત રુ. 45 લાખનો ખર્ચ આવે છે.
ડો.મયુરીએ તેણે આ રુપિયા પોતાનો પતિ ભરે તેવી માગણી સાથે રાજકોટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં કોર્ટે કાયદા મુજબ પતિને રુ.30 લાખ આપવા માટે આદેશ આપ્યો હતો.
કોર્ટ સમક્ષ જુદા જુદા અનેક રીસર્ચ પેપર રજૂ
જોકે ડૉક્ટર પતિએ હાઈકોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદાને ચલેન્જ આપતા જણાવ્યું કે, તેમની દીકરીના ઈલાજ માટે પત્નીએ જે ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યું છે કે ખૂબ જ રિસ્કી છે.
કોર્ટ સમક્ષ જુદા જુદા અનેક રીસર્ચ પેપર રજૂ કરતા તેણે કહ્યું કે પોતે જે ટ્રીટમેન્ટ સૂચવી રહ્યો છે તે વધારે સસ્તી હોવા સાથે 96% સક્સેસ રેશિયો ધરાવે છે. જ્યારે તેની પત્ની દ્વારા સૂચવવામાં આવેલ ટ્રીટમેન્ટ માંડ 65% જેટલો સક્સેસ રેશિયો ધરાવે છે.
દીકરીના તમામ રિપોર્ટ આ નિષ્ણાંતોને આપવા તેમજ જરુર પડ્યે બાળકીને નિષ્ણાંતો પાસે લઈ જવા માટે આદેશ
હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટના ચુકાદાને રદ કરતા તાત્કાલીક ધોરણે બે નિષ્ણાંતો ડૉ. સંદીપ શાહ અને ડૉ. ચિરાગ શાહને અલગ અલગ કવરમાં પોતાના અભિપ્રાય આપવા અંગે જણાવ્યું છે.
આ સાથે બાળકીના માતા-પિતા ડૉક્ટર કપલને પોતાની દીકરીના તમામ રિપોર્ટ આ નિષ્ણાંતોને આપવા તેમજ જરુર પડ્યે બાળકીને આ નિષ્ણાંતો પાસે લઈ જવા માટે પણ આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી મંગળવારે રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પતિ-પત્ની વચ્ચે વિવાદ થયા બાદ પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવીને ખાધાખોરાકીની માંગણી કરી હતી. જેમાં કોર્ટે બાળકીના ઉછેર માટે રુ.20,000 ખાધાખોરાકી આપવાનો આદેશ કર્યો હતો.