લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા મોદી સરકારે દેશના સવર્ણોને એક મોટી ભેટ આપી છે. સરકારી નોકરીઓમાં હવેથી સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આપવામાં આવશે.
કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે સંસદના અંતિમ દિવસોમાં જાહેરાત કરી તે ચૂંટણીલક્ષી છે. બિનઅનામત વર્ગને શિક્ષણ અને નોકરીમાં અનામત મળે તે માટે યુપીએે સરકાર સમયે કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ વિચાર રજૂ કર્યો હતો. તે સમયે ન્યાયીક પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ સરકાર બદલાતાં એનડીએ સરકારે આ પ્રક્રિયાને આગળ ધપાવી ન હતી. જેના કારણે બિન અનામત વર્ગના લોકોને પાંચ વર્ષ સુધી અનામતનો લાભ મળી શકયો નહિ. તેમ છતાં હવે પણ અનામત આપવાની સરકારે વાત કરી તે આવકારદાયક છે.
ત્યારબાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, જયારે કોંગ્રેસે બિનઅનામત વર્ગ માટે વિચાર રજૂ કર્યો ત્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આ જાહેરાત માત્રને માત્ર ચૂંટણી લક્ષી છે.