મુંબઈ,
દેશની સૌથી મોટી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર જવેલરી કિંગ નીરવ મોદીના કેસ અંગે મુંબઈના સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન કૌભાંડી નીરવ મોદીએ ભારત આવવા માટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે અને જણાવ્યું હતું કે, “તેઓએ કઈ પણ ખોટું કર્યું નથી”.
મુંબઈના PMLA કોર્ટમાં EDની એક અરજી પર સુનાવણી હાથ ધરાઈ રહી છે, જેમાં ભાગેડુ નીરવ મોદીને આર્થિક અપરાધી ઘોષિત કરવામાં આવે અને તેની પૂરી સંપત્તિ જપ્ત કરવામાં આવે.
કોર્ટમાં જવાબ આપતા આ કૌભાંડીના વકીલે કહ્યું, “મોદીએ કઈ પણ ખોટું કર્યું નથી અને તેનો ભારત પાછા આવવાનો કોઈ ઈરાદો નથી”. આ પાછળ તેઓએ સુરક્ષાના કારણોનો હવાલો આપ્યો હતો.
વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે, “તેને (નીરવ મોદી) જે પણ ટ્રાન્જેક્શન કર્યા છે તે તમામ યોગ્ય પ્રક્રિયા હેઠળ આવે છે અને આ કોઈ ગુનો નથી”.
PNB બેંકમાં આચર્યું હતું ૧૩ હજાર કરતા વધુ રૂપિયાનું કૌભાંડ
મહત્વનું છે કે, અબજોપતિ ડાયમંડ જવેલરી કિંગ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંક (PNB)ની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચના અમુક કર્મચારીઓ સાથે મળીને ૧૩૦૦૦ કરોડ કરતા વધુ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું અને ત્યારબાદ બંને આરોપીઓ દેશ છોડીને ભાગી ગયા હતા.
આ કૌભાંડ બહાર આવ્યા બાદ ED અને CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. PNB કૌભાંડ બાદ ED દ્વારા દેશભરમાં આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા અને અંદાજે ૭૫૦૦ કરોડ રૂપિયા કરતા વધુ રકમની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.
બીજી બાજુ PNB સ્કેમના મુખ્ય આરોપીઓ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે અને તેઓના પાસપોર્ટ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે.