ગજરાત વિધાનસભાની ચુંટણીના બીજા તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ શુક્રવારથી સંસદનું શીતકાલીન સત્ર શરુ થયું હતું. ૧૫ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી ચાલનારા આ સત્રમાં કેન્દ્ર સરકારનો મુખ્ય પ્રયાસ બાકી રહેલા મહત્વના બીલને પસાર કરાવવાનો રહેશે.
સંસદનું શીતકાલીન સત્ર શરુ થતા સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રિમંડળના વિસ્તરણ બાદ નવા મંત્રીઓનો પરિચય કરાવ્યો હતો. જેમાં રેલ્વે મંત્રી પિયુષ ગોયલ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, મુખ્તાર અબ્બાસ નકવીની સહિત બીજા મંત્રીઓનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત સત્રના પહેલા દિવસે ઔપચારિક વિધિ પૂર્ણ કર્યા બાદ સંસદના બંને ગૃહમાં મૃત સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સંસદની કાર્યવાહી 18 ડિસેમ્બર, 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
સત્ર શરુ થતા પહેલા પીએમ મોદીએ જણાવ્યું, “સરકાર તમામ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે. આશા રાખુ છું કે, શિયાળુ સત્ર સકારાત્મક રીતે પસાર થાય. અને લોકતંત્રની શક્તિ વધે”.
વધુમાં જણાવતા તેઓએ જણાવ્યું કે, “સામાન્ય રીતે શિયાળાની શરૂઆત દિવાળીની સાથે થતી હોય છે પરંતુ ગ્લોબલ વોર્મિગના કારણે શિયાળો જોઈએ તેવો જામ્યો નથી. જો કે શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. હું આશા રાખું છું કે, ૨૦૧૭-૧૮નું શિયાળુ સત્ર દેશ માટે સકારાત્મક રહે અને ગૃહમાં જરૂરી અને પોઝિટિવ ચર્ચા થાય”.