નવી દિલ્હી,
ફાઈટર પ્લેન રાફેલની વિવાદિત ડીલ અંગે રાજકારણમાં જોવા મળી રહેલો રાજકીય ભૂકંપ દિવસે દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તે જોવા મળી રહ્યું છે, ત્યારે હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ વિવાદ મામલે JPC (જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી)ના ગઠન કરવાની માંગ અંગે સરકાર દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે.
JPCના ગઠન અંગેનો સવાલ જ ઉભો થતો નથી
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં રાહુલ ગાંધીની JPCના ગઠન અંગેની માંગ સાથે કેંદ્ર સરકાર અસહમત જણાઈ રહી છે અને સામે આવી રહ્યું છે કે, રાફેલ ડીલ મામલે JPCના ગઠન અંગેનો સવાલ જ ઉભો થતો નથી.
સૂત્રોનું કહેવું છે કે, આ મામલે CVC (સેન્ટ્રલ વિજીલન્સ કમિશન) અને CAG (કોમ્પટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાજોઈ રહ્યા છે, ત્યારે આ સમયમાં JPCનું ગઠન કરવા અંગેનો કોઈ સવાલ ઉઠતો નથી.
કોંગ્રેસના દુરપ્રચાર પાછળ હોઈ શકે છે વિદેશી કંપનીઓ
સરકાર દ્વારા કોંગ્રેસ પર પલટવાર કરતા કહેવામાં આવ્યું છે કે, “રાફેલ ડીલ અંગે કોંગ્રેસ દ્વારા કરાયેલા દુરપ્રચાર પાછળ એ વિદેશી કંપનીઓ હોઈ શકે છે જે, આ ડીલ હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે”.
આ ઉપરાંત માહિતી મળી રહી છે કે, ફ્રાંસની દસોલ્ટ કંપની ભારતની પ્રાઈવેટ કંપની રિલાયન્સ સાથે મળીને નક્કી કરશે કે, તેઓ શું કરશે અને તેઓએ શું ઉત્પાદન કરવાનું છે. ભારત સરકાર આ નક્કી કરશે નહિ”.
રાફેલ ડીલ અંગે કોંગ્રેસ દ્વારા કરાયેલા દુરપ્રચારની પોલ ખુલી છે : રક્ષા મંત્રી
બીજી બાજુ રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “વિવાદિત રાફેલ ડીલ અંગે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા કરાયેલા દુરપ્રચારની પોલ ખુલી ગઈ છે”.
આ ઉપરાંત રક્ષા મંત્રીએ દાવો કર્યો છે કે, “આ પાછળ કોઈ વિદેશી તાકાત હોઈ શકે છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ માહિતી ત્યારે જાહેર કરવામાં આવી છે, જયારે કોંગ્રેસનું એક ડેલીગેશન રાફેલ ડીલ મામલે સોમવારે CVC (સેન્ટ્રલ વિજીલન્સ કમિશન) સાથે મુલાકાત કરી છે.
આ મુલાકાતમાં કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલને રક્ષા ક્ષેત્રનો સૌથી મોટો ગોટાળો બતાવતા આ મામલે FIR દાખલ કરવા માટેની માંગ કરી છે.