અમદાવાદ,
દેશના ઉત્તરીય વિસ્તારોમાં હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે કેદારનાથની યાત્રાને સ્થાનિક સરકાર દ્વારા સ્થગિત કરી દેવામાં આવી હતી. આ અંગે ગુજરાતના રિલીફ કમિશનર એમ. આર. કોઠારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સહી સલામત અને સુરક્ષિત છે. જો કે હવામાનમાં પણ ફેરફાર થતા પરિસ્થિતિમાં સુધારો થયો છે તેથી કોઈ ચિંતા નથી.
દેશના ઉત્તરીય રાજ્યોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. જેના કારણે સોમવારથી પડી રહેલ ભારે હિમવર્ષાના કારણે ઉત્તરાખંડ સરકાર દ્વારા કેદારનાથને યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. જેથી સ્થાનિક સરકારી તંત્ર દ્વારા તીર્થયાત્રીઓને લિંચૌલી અને ભીમબલી વિસ્તારથી આગળ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધના પગલે બે હજારથી વધુ ગુજરાતી શ્રદ્ધાળુઓ (યાત્રીઓ) સહિત ૧૦ હજાર જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા.
જો કે આ તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાનો દાવો સ્થાનિક સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આ હિમવર્ષામાં કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મત્રી હરીશ રાવત, રાજ્યસભાના સાંસદ પ્રદીપ ટમ્ટા અને સ્થાનિક ધારાસભ્ય મનોજ રાવત સહિત કોંગ્રેસના અડધો ડઝનથી વધુ નેતાઓ ફસાયા છે. રુદ્રપ્રયાગના જિલ્લા અધિકારી મંગેશ ઘિલડિયાલે જણાવ્યુ હતું કે, કેદારનાથમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે કેદારનાથ યાત્રા પર જઇ રહેલા યાત્રાળુઓને આગળના રૂટ પર જ રોકી દેવામાં આવ્યાં હતા.
કેદારનાથની નીચે ગૌરીકુંડમાં એક બેઝ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે, જ્યાં યાત્રાળુઓની રહેવા-ખાવાની સગવડ કરવામાં આવી છે. ભારે હીમવર્ષાને કારણે કેદારનાથ તરફ જતી હેલિકોપ્ટર સેવાને પણ અટકાવી દેવામાં આવી છે. કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધી 5 ઈંચથી વધુ બરફ પડી ચુક્યો છે. જેથી તીર્થયાત્રીકોને ભીમબલી અને લિંચૌલીથી આગળ ન વધવા તાકીદ કરાઈ છે. જ્યાં સુધી વાતાવરણ સાફ સુથરુ ન થાય ત્યાં સુધી તેમને ત્યાં જ રોકાવા માટે જણાવાયુ છે.
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રાવત પણ ફસાયા
ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત પોતાના સમર્થકો સાથે રવિવારે કેદારનાથના દર્શને ગયા હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે તેઓ અધવચ્ચે જ ફસાઈ ગયા છે. જિલ્લા અધિકારીએ જણાવ્યુ હતું કે હરીશ રાવત સહિતના નેતાઓને પણ રાહ જાવા માટે જણાવાયુ છે. કારણકે તેમણે હેલિકોપ્ટરથી પરત ફરવાનુ છે પરંતુ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરનુ ટેક ઓફ કરાવવુ શક્ય નથી.
તમામ ગુજરાતીઓ સુરક્ષિત અને સલામત : રિલીફ કમિશનર કોઠારી
ઉત્તરાખંડની પરિસ્થિતિને અનુલક્ષીને ગુજરાત સરકારના રિલીફ કમિશનર એમ. આર. કોઠારીનો સંપર્ક કરતા તેમને મંતવ્ય ન્યૂઝને જણાવ્યું હતું કે, બદ્રીનાથ -કેદારનાથ સહીત ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા તમામ ગુજરાતી પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે. જો કે, ઉત્તરાખંડની યાત્રાએ ગયેલા પ્રવાસીઓનો નિયત આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ કોઈ ચિંતાનું કારણ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે હવામાનમાં સુધારો થઈ ગયો છે. જેથી યાત્રીઓને યાત્રા કરવા માટે કોઈ મુશ્કેલી નથી