શિલોંગમાં શુક્રવારે થયેલી હિંસા બાદ હજુ પણ તણાવની સ્થિતિ છે. રવિવાર રાતે પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે અશ્રુ ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. અહી બે દળો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો હતો, જેમાં રવિવારે થોડી છૂટ આપવામાં આવી હતી. પરંતુ પેટ્રોલ બોમ્બ ફેકવાની ઘટના બાદ માહોલ ફરીથી તણાવપૂર્ણ થઇ ગયો હતો.
મુખ્યમંત્રી કોનરાડ સંગમાંએ કહ્યું કે શુક્રવારે થયેલી અથડામણ પાછળ પહેલેથી જ વિચારેલું એક ષડ્યંત્ર છે. જોકે આ હિંસા વચ્ચે ફરી એક વાર અહીના મૂળ આદિવાસીઓ અને પ્રવાસીઓ વચ્ચે જમીન માટેનો વર્ષો જુનો સંઘર્ષ સામે આવી ગયો છે.
મેઘાલયની રાજધાની શિલોંગમાં બે સમુદાયો વચ્ચે ત્રણ દિવસ પહેલા થયેલી અથડામણ બાદ શાંતિ તો છે પરંતુ તણાવ પણ છે.
શીલોન્ગની પંજાબી લાઈન કે જે બહારથી અહી વસેલા લોકોની કોલોની છે, આ અથડામણ દરમિયાન નિશાના પર રહી છે. શનિવારે રાતે લગભગ 200 નિવાસીઓએ કોલોની છોડીને સેના છાવણીમાં શરણ લીધું છે.
દિલ્હીથી શિરોમણી અકાલી દળની એક ટીમ રવિવારે પંજાબી લાઈન પહોચી હતી. એમણે ત્યાના લોકોને ધૈર્ય અને શાંતિ બનાવી રાખવાનું કહ્યું છે. હકીકતમાં સ્થાનિક ખાસી સમુદાય હમેશાથી જ અહી સરકારી જમીન પર પંજાબીઓના વસવાટનો વિરોધ કરી રહ્યા છે, અને એમને બીજે કશે જતા રહેવાની માંગ કરી રહ્યા છે. ગુરુવારે થયેલાં સંઘર્ષ બાદ લાંબા સમયથી દબાઈ રહેલો તણાવ જમીન પર આવી ગયો હતો.