મુંબઈ,
બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં CBIની કોર્ટ પોતાનો ચુકાદો આપશે. અંદાજે ૧૩ વર્ષ બાદ આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ની વિશેષ અદાલતના જજ એસ જે શર્મા પોતાનો ચુકાદો સંભળાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૫-૦૬માં કરવામાં આવેલા કથિત એન્કાઉન્ટર કેસમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિને મારવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ મામલે રાજકારણ તેમજ પ્લીસના ઉચ્ચ અધિકારીઓની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા.
૧૩ વર્ષ પહેલા થયેલા આ કથિત એન્કાઉન્ટરના મામલે ૨૨ લોકો સામે કેસ ચાલી રહ્યો છે, જેમાં સૌથી વધુ પોલીસ કર્મીઓ છે.
આ ચર્ચિત એન્કાઉન્ટરની વાત કરવામાં આવે તો, આ કેસમાં ભાજપના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને તે સમયના રાજ્યના ગૃહમંત્રી અમિત શાહ આરોપીઓમાં શામેલ હતા, પરંતુ ત્યારબાદ તેઓને ૨૦૧૪માં આરોપ મુક્ત કરાયા હતા.
આ એન્કાઉન્ટર મામલે ચાલુ મહિનાની ચાલુ મહિનાની શરૂઆતમાં જ તમામ સુનાવણીઓ પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યારબાદ જજ એસ જે શર્માએ કહ્યું હતું કે, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે ૨૧ ડિસેમ્બરના રોજ ચુકાદો આપવામાં આવશે.
આ પહેલા CBIની ચાર્જસીટમાં દાખલ કરાયેલા ૩૮ લોકોમાંથી ૧૬ને નિર્દોષ મુક્ત કર્યા હતા. જેમાં અમિત શાહ, ૨૦૦૫માં રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પી સી પાંડે અને ડી જી વણઝારા શામેલ છે.
શું છે આ મામલો ?
CBIના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સંબંધ રાખનારા કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેઓના સહયોગી તુલસી પ્રજાપતિને ગુજરાત પોલીસ દ્વારા એક બસમાંથી અગવા કરવામાં આવ્યા હતા, જયારે તેઓ ૨૨ અને ૨૩ નવેમ્બર ૨૦૦૫ દરમિયાન રાત્રિન સમયે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા.
અપહરણ કરાયા બાદ સોહરાબુદ્દીન શેખની ૨૬ નવેમ્બર, ૨૦૦૫ના રોજ અમદાવાદ પાસે કથિત એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ પછી જ તેની પત્ની કૌસરને પણ મારવામાં આવી હતી અને તેનો મૃતદેહ સગેવગે કરાયો હતો.