નવી દિલ્હી,
ગયા વર્ષે સ્વીસ બેન્કોમાં જમા થયેલું ભારતીયોનું ધન ચાર વર્ષમાં પહેલી વાર વધીને એક અરબ સ્વીસ ફ્રેંક (7000 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગયું છે. જે એક વર્ષ પહેલાની સરખામણીમાં 50 ટકા વધારે છે. આ આંકડાઓ સ્વીત્ઝરલૅન્ડની રાષ્ટ્રીય બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ મુજબ ભારતીયો દ્વારા સ્વીસ બેન્કના ખાતામાં રાખવામાં આવેલું ધન 2017માં 50 ટકા વધીને 7000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ આંકડાઓ જાહેર થયા બાદ વિપક્ષની સાથે સરકારના પોતાના સાંસદો પણ સરકાર પર હુમલો કરી રહ્યા છે. આમાં સૌથી પહેલું નામ સુબ્રમણીયમ સ્વામીનું છે.
ભાજપ સાંસદ સુબ્રમણીયમ સ્વામીએ આ મામલે ફરી એક વાર નાણા મંત્રાલય પર નિશાન સાધ્યું છે. એમણે ટ્વીટ કરીને લખ્યું છે કે નાણા સચિવ અઢિયા માટે એક મોટી સફળતા. એક બાજુ આખી દુનિયાની સ્વીસ બેંકમાં ડીપોઝીટ ૩ ટકા વધી છે. અને ભારતીયોની 50 ટકા વધી ગઈ છે. અઢિયા આનાથી પણ વધારે મેનેજ કરી શકતા હતા, જો રાજેશ્વર(ઇડી ઓફિસર) વચ્ચે ના આવતા.
સુબ્રમણીયમ સ્વામીના આ હુમલાને અરુણ જેટલી વિરુદ્ધ હુમલાના રૂપે જોવામાં આવે છે. તેઓ પહેલા પણ અરુણ જેટલી પર પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે હુમલો કરતા રહ્યા છે. આ પહેલાના ત્રણ વર્ષ સ્વીસ બેન્કોમાં ભારતીયોના જમા ધનમાં સતત ઘટાડો થયો હતો. પોતાની બેન્કિંગ ગુપ્તતા માટે ઓળખાણ બનાવવા વાળા આ દેશમાં ભારતીયોના જમાધનમાં એવા સમયે વધારો જોવા મળી રહ્યો છે જયારે ભારત સરકાર વિદેશોમાં કાળુંધન રાખવા વાળાઓ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.
સ્વીસ નેશનલ બેંક(એસએનબી)ના વાર્ષિક આંકડાઓ મુજબ સ્વીસ બેંક ખાતાઓમાં જમા ભારતીય ધન 2016 માં 45 ટકા ઘટીને લગભગ 4500 કરોડ રૂપિયા રહી ગયું હતું.