ભીમા કોરેગાંવ હિંસા મામલે કથિત નક્સલી લિંક ના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા માનવાધિકાર કાર્યકર્તાઓને સુપ્રીમ કોર્ટે થોડી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકારને નોટિસ આપતા કહ્યું કે આરોપીઓની ધરપકડ કરવાના બદલે હાઉસ અરેસ્ટ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગળની સુનાવણી 6 સપ્ટેમ્બરે કરશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે અસહમતી હોવી એ કોઈ પણ લોકતંત્રનો સેફટી વાલ્વ છે. જો અસહમતી ની અનુમતિ નહિ હોય તો પ્રેશર કૂકરની જેમ ફાટી પણ શકે છે. જણાવી દઈએ કે 28 ઑગસ્ટે પુણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસા, નક્સલીઓ સાથે સંબંધો અને ગેર-કાનૂની ગતિવિધિઓના આરોપમાં 5 લોકોની ધરપકડ કરી છે.
આમાં વરવરા રાવ, સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, વેરનોન ગોન્સાલ્વિસ અને અરુણ ફરેરા સામેલ છે. આ માનવાધિકાર કાર્યકર્તાઓ તરફથી રોમિલા થાપર, પ્રભાત પટનાયક, સતીશ દેશપાંડે, માયા દરનાલ અને એક અન્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ લોકોની તરફથી સિનિયર એડવોકેટ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંધવી કોર્ટમાં પેશ થયા હતા.
પુણે પોલીસે દાવો કર્યો હતો કે આરોપીઓ વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે. પોલીસે આરોપ લગાવ્યો કે આરોપીઓના પ્રતિબંધિત સીપીઆઇ માઓવાદી સાથે સંબંધ છે. પોલીસે દાવો કર્યો કે આ લોકો મોટા નેતાઓની હત્યાની સાજીશ કરી રહ્યા હતા. પોલીસે પુરાવા રૂપે હાર્ડ ડિસ્ક, લેપટોપ વગેરે કબ્જામાં લીધું હોવાનો દાવો કર્યો છે.
પુણે પોલીસ દ્વારા પાંચ માનવાધિકાર કાર્યકર્તાઓની ધરપકડ મામલે રાજનીતિક રૂપ લઇ લીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર, સંઘ પર હુમલો કરતા કહ્યું કે ભારતમાં ફક્ત એક જ એનજીઓ માટે જગ્યા છે. અને એનું નામ આરએસએસ છે. રાહુલે કટાક્ષ કરતા લખ્યું કે બધા એક્ટિવિસ્ટને જેલમાં નાખી દો અને જે વિરોધ કરે એને ગોળી મારી દો.