અમદાવાદ: ગુજરાતના CM વિજય રૂપાણીએ રાજ્યમાં જૂના મકાનોના રીડેવલપમેન્ટ માટેની કાર્યવાહી અંગે એક મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી રપ વર્ષનો ગાળો થયો હોય તેવા મકાનોમાં ૭પ ટકા ફલેટ-એપાર્ટમેન્ટ ધારકોની સંમતિથી રિડેવલપમેન્ટ કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્યમાં ગમે તે સ્થળે સંબંધિત ઓથોરિટી દ્વારા ભયજનક-પડી જાય તેવા જાહેર કરાયેલા મકાનોના કિસ્સામાં રિડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઈ શકશે.
જો કે, આવા મકાનોને વિકાસ પરવાનગી મેળવ્યાની તારીખથી રપ વર્ષનો સમયગાળો પૂરો થયો હોવો જોઈએ. આવા કિસ્સામાં ઓછામાં ઓછા ૭પ ટકા ફલેટ કે એપાર્ટમેન્ટના ધારકોની સંમતિ મેળવવી પડશે.
આવા કિસ્સામાં સંબંધિત ઓથોરિટી દ્વારા જે મકાનો પડી જાય તેવા કે ભયજનક જાહેર કર્યા હોય તે જરૂરી છે. તેમજ આવા મકાનોથી આસપાસના રહેવાસીઓ કે તેની આસપાસની અન્ય મિલકતને નુકશાનકર્તા થાય તેમ જાહેર કરવામાં આવ્યું હોવું જોઈએ. તો આવા કિસ્સાઓમાં રિડેવલપમેન્ટ માટેની કાર્યવાહી થઇ શકશે.