તિરુવંતપુરમ,
સુપ્રીમ કોર્ટ દ્વારા કેરળના સબરીમાલા મંદિરમાં મહિલા પ્રવેશ આપવા માટેની મંજૂરી બાદ અનેક વિવાદો સામે આવી રહ્યા છે. આ વચ્ચે સોમવારે વધુ એકવાર આ મંદિરના કપાટ ખુલવા જઇ રહ્યા છે.
બીજી બાજુ, મંદિરમાં મહિલાઓની એન્ટ્રી ને લઈ ચાલી રહેલા ગતિરોધ બાદ હવે સ્થાનિક પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પોલોસ દ્વારા આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
પંબા અને સન્નીધનમ વચ્ચે અંદાજે ૧૫૦૦ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં લાગુ કરાઈ ધારા ૧૪૪
સબરીમાલા મંદિરને લઈ ચાલી રહેલા ગતિરોધ વચ્ચે સ્થાનિક પ્રશાસન દ્વારા ૪ થી ૬ નવેમ્બર સુધી ધારા ૧૪૪ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રશાસન દ્વારા સન્નીધનમ, પંબા, નિલાકકલ અને ઇલાવંકુલમાં ધારા ૧૪૪ લાગુ કરાઈ છે.
મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ ગત મહિને ૧૦ વર્ષથી લઈ ૫૦ વર્ષ સુધીની મહિલાઓને મંદિરમાં એન્ટ્રી કરવા દેવામાં આવી ન હતી.
મંદિરમાં મહિલાઓને પ્રવેશવાને લઈ હિંસક પ્રદર્શન થયું હતું, ત્યારે હવે પ્રશાસન દ્વારા વિશેષ પૂજાને લઈ સુરક્ષા વ્યવસ્થાનો સખ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.