નવી દિલ્હી,
વર્ષ ૨૦૧૪માં ભાજપની મોદી સરકાર કેન્દ્રમાં સત્તા પર બિરાજમાન થયા બાદ દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે વધુ એકવાર આ મામલાએ જોર પકડ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા લો કમીશનને પત્ર લખીને “વન નેશન વન ઈલેક્શન” યોજવા અંગે જણાવ્યું છે, ત્યારે આ વચ્ચે ચીફ ઇલેકશન કમિશ્નર ઓ પી રાવતની ટિપ્પણી સામે આવી છે.
ઓ પી રાવતે જણાવ્યું છે કે, “વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી સંભવિત નથી”.
કાયદામાં સંશોધન વગર અશક્ય છે “વન નેશન વન ઈલેક્શન”
મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું, “જયારે ક્રમબદ્ધ રીતે ચૂંટણી યોજવામાં આવે તો કેટલાક રાજ્યોમાં એક સાથે સામાન્ય ચૂંટણી યોજવી સંભવિત છે. દેશમાં પહેલા ચાર ચૂંટણી એક સાથે હતા. પરંતુ કાયદામાં સંશોધન કરવામાં આવે, મશીન પુરતી માત્રામાં હોય અને સુરક્ષાકર્મીઓ પણ જરૂરત પૂરતા હોય, આ સંભવ છે”.
“વન નેશન વન ઈલેક્શન” અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું, “રાજ્યની વિધાનસભાઓ જો સહમત થાય છે તો એક સાથે ચૂંટણી કરાવવી સંભવ છે, પરંતુ આ માટે સંશોધન કરવું ખુબ જરૂરી છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું હે કે, કેન્દ્ર સરકાર આવતા વર્ષે લોકસભા ચૂંટણીની સાથે ૧૦- ૧૧ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવા માટે પ્રયાસ કરી રહી છે.
વર્ષ ૨૦૧૫માં ઇલેકશન કમિશન દ્વારા અપાયા હતા સૂચનો
ઓ પી રાવતે જણાવ્યું કે, એક સાથે ચૂંટણી યોજવાને લઇ ઈલેક્શન કમિશન દ્વારા ૨૦૧૫માં જ વ્યાપક સૂચનો આપવામાં આવ્યા હતા. ઈલેક્શન કમિશન દ્વારા જણાવવામાં આવી ચુક્યું છે કે, આ માટે બંધારણ અને જનપ્રતિનિધિત્વ કાયદામાં કયા કયા સંશોધન કરાવવામાં આવશે. મહત્વનું છે કે, દેશમાં પહેલીવાર એકસાથે ૪ ચૂંટણી ૧૯૬૭ સુધી યોજવામાં આવી હતી.