નવી દિલ્હી,
છેલ્લા કેટલાક દિવસ કુદરતના કહેરનો માર જીલી રહેલા કેરળમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ જોવા મળી છે. છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં સૌથી ભયાનક પૂરથી ઝઝૂમી રહેલા કેરળમાં અત્યારસુધીમાં ૩૬૦થી લોકોના મોત નીપજી ચુક્યા છે, તો લાખો લોકો પોતાના ઘરબાર છોડીને રાહત કેમ્પમાં આશરો લઇ રહ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધુ રૂપિયાનું નુકશાન થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે આ હોનારતમાં કેરળની મદદે દેશની સાથે વિદેશના લોકો પણ પોતાની મદદ પહોચાડી રહ્યા છે.
આ વચ્ચે સંયુક્ત અરબ અમીરાત (UAE) સરકાર દ્વારા કેરળને ૭૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનું એલાન કરવામાં આવ્યું છે. આ અંગે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને માહિતી આપી હતી.
જો કે કેન્દ્ર સરકાર દ્વારા કેરળમાં આવેલા વિનાશક પુર માટે ૬૦૦ કરોડ રૂપિયાની મદદ પહોચાડવાનું એલાન કરવામાં આવ્યું છે, જયારે વિદેશની UAE સરકાર દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાની મદદ પહોચાડવાની ઘોષણા કરવામાં આવી છે.
ત્યારે બંને સરકારો વચ્ચેની તુલના કરવામાં આવે તો કેરળમાં આવેલા વિનાશક પુરની રાશિમાં ૧૦૦ કરોડ રૂપિયાનો તફાવત જોવા મળી રહ્યો છે.
આ પહેલા વિપક્ષી પાર્ટી કોંગ્રસે પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાય સામે સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને આ હોનારતને રાષ્ટ્રીય આપદા ઘોષિત ન કરવા અંગે કહેતા કહ્યું હતું કે, “જો સરકાર કેરળના વિનાસક પુરને રાષ્ટ્રીય આપદા ઘોષિત કરે તો કુલ નુકશાનના ૭૫ % જેટલી રકમ સરકારને આપવી પડે”.
બીજી બાજુ એ પણ માનવામાં આવી રહ્યું છે કે, હાલમાં કેરળમાં લેફ્ટની સરકાર છે અને સાથે સાથે રાજ્યનો સત્તાધારી પક્ષ NDAના ગઠબંધનમાં પણ નથી, જેથી દેશમાં ભાજપશાસિત રાજ્યોની સરકારો છોડીને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની ગરીબ જનતા સાથે પક્ષપાત કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેરળ પહોચ્યા હતા અને આ દરમિયાન તેઓએ કેરળના પુર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સવેક્ષણ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્ર દ્વારા ૫૦૦ કરોડ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ પીએમ મોદીએ આ બેઠકમાં રાજ્યમાં આવેલા પુરની ચપેટમાં આવેલા મૃતકોના પરિજનોને ૨ લાખ રૂપિયાની મદદ અને ઘાયલોને ૫૦ હજાર રૂપિયાની રાશિ આપવાનું એલાન કર્યું હતું.
દેશના આ રાજ્યો મદદ માટે આવ્યા આગળ
કેરળમાં આવેલા ભીષણ પુરને જીત દેશની અનેક રાજ્ય સરકારો પણ મદદ માટે આગળ આવી છે. તેલંગાના દ્વારા ૨૫ કરોડ, મહારાષ્ટ્ર દ્વારા ૨૦ કરોડ, ઉત્તરપ્રદેશ દ્વારા ૧૫ કરોડ, ઉત્તરાખંડ દ્વારા ૫ કરોડ, તમિલનાડુ દ્વારા ૫ કરોડ, ગુજરાત દ્વારા ૧૦ કરોડ, ઝારખંડ દ્વારા ૫ કરોડ, મધ્યપ્રદેશ દ્વારા ૧૦ કરોડ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓરિસ્સા દ્વારા ૫ કરોડ, બિહાર દ્વારા ૧૦ કરોડ, હરિયાણા દ્વારા ૧૦ કરોડ, પશ્ચિમ બંગાળ દ્વારા ૧૦ કરોડ રૂપિયા મદદ માટે આપવાનું એલાન કરવામાં આવ્યું છે.