બેંગલુરુ,
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની ૨૨૨ બેઠકો પર યોજાયેલા વોટિંગની મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સાંજે ૪.૩૦ વાગ્યા સુધી ચૂંટણીના પરિણામોમાં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી રહ્યો નથી. ૧૦૪ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે જયારે કોંગ્રેસના ખાતામાં ૭૮ સીટ, જેડીએસના ફાળે ૩૮ બેઠકો અને અન્યના ફાળે ૨ સીટ આવી રહી છે.
બીજી બાજુ હવે બપોરના ૧ વાગ્યા સુધી ભાજપ પોતાની સરકાર બનાવવા જઈ રહી હતી પરંતુ હવે બપોરના ચૂંટણીના સમીકરણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. ૧ વાગ્યા બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા જેડીએસ સાથે ગઠબંધન કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યા બાદ તેને JD(S)એ મંજૂર કર્યો છે અને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.
ત્યારે હવે રાજ્યમાં સરકાર બનાવવા માટેની ચાવી હવે રાજ્યપાલ વજુભાઈ વાળાના હાથમાં જણાઈ રહી છે.
રાજ્યમાં રચાઈ રહેલી ત્રિશુંક વિધાનસભા વચ્ચે રાજ્યપાલ દ્બારા આ સમીકરણો અપનાવવામાં આવી શકે છે :
કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં ત્રિશુંક વિધાનસભા રચાતી હોય છે ત્યારે રાજ્યપાલની ભૂમિકા ખૂબ અગત્યની માનવામાં આવે છે.
ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ, રાજ્યપાલ આ સમયે ચુંટણીમાં સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે.
જો રાજ્યપાલ વજુભાઈ વાળા હાલના તબક્કાની સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપે છે તો તાજેતરમાં બીજેપી પાસે સ્પષ્ટ બહુમત ન હોવાના કારણે તેઓ વિધાનસભાના ફ્લોર ઉપર મેજોરીટી જાહેર કરવા માટે કહી શકે છે.
જયારે કોંગ્રેસ -જેડીએસને રાજ્યપાલ આમંત્રણ આપે છે ત્યારે તેઓ પોતાની સરકાર રચવા માટે બહુમત હાંસલ કરી શકે છે.
બીજી બાજુ હાલના કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો ભાજપ સાથે જુનો નાતો પણ રહ્યો છે કારણ કે આ પહેલા તેઓ ગુજરાત રાજ્યમાં મોદી સરકારમાં મંત્રી રહી ચુક્યા છે તેમજ વિધાનસભાના સ્પીકર પણ રહી ચુક્યા છે.
બી એસ યેદિયુરપ્પા, અનંત કુમાર, રાજીવ ચંદ્રશેખર અને શોભા કરંડલાજે રાજ્યપાલને મળવા માટે રાજભવનમાં પહોંચ્યા છે. આ સમયે સીએમ પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ જણાવ્યું, “ભાજપ સરકારના ગઠન માટે સૌથી મોટી પાર્ટી બનીને આગળ વધશે અને તેઓ ૧૦૦ ટકા પોતાની સરકારનું ગઠન કરશે”.
આ પહેલા જેડીએસ દ્વારા પ્રસ્તાવ મંજૂર કર્યા બાદ જી.પરમેશ્વરમના નેતૃત્વમાં કોગ્રેસનું ડેલીગેશન રાજ્યપાલ મળવા માટે પહોચ્યું હતું, પરંતુ તેઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ જેડીએસના પ્રવક્તા દાનિશ અલીએ જણાવ્યું, ” એચ ડી કુમાર સ્વામીને JD(S) તરફથી રાજ્યના સીએમ બનાવવામાં આવશે અને આવી રહેલા રિઝલ્ટ મુજબ ભાજપને પાવરમાંથી બહાર કાઢવામાં આવશે. કોંગ્રેસનો પ્રસ્તાવ જેડીએસ દ્વારા મંજુર કરવામાં આવ્યો છે અને સાંજે ૫.૩૦ વાગ્યે બંને સંગઠનો રાજ્યપાલને મળવા પહોચશે.