ઉજ્જૈન,
દેશમાં દલિત સમુદાયના લોકો પર થઇ રહેલા અત્યાચારોની ઘટનામાં ક્રમશઃ વધારો થયો છે. ત્યારે ગુજરાતના પાડોશી અને ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિદપુરમાં દલિતો માટે એક તગલદી હુકમનામું જાહેર કરવામાં આવ્યું છે તે જાણીને તમે પણ નવાઈ પરમાડી શકો છો. આ હુકમનામું એસડીએમ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
હકીકતમાં, એમપીના ઉજ્જૈન જિલ્લાના એસડીએમ દ્વારા મહિદપુર તાલુકાની તમામ પંચાયતોના સરપંચનોને આદેશ આપવામાં આવ્યો છે.
એસડીએમ દ્વારા આદેશ આપતા જણાવવામાં આવ્યું છે કે, “મહિદપુરના કોઈ પણ ગામમાં જો કોઈ દલિત પરિવારમાં લગ્ન થાય અથવા તો દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવે તો આ માટે ૩ દિવસ પહેલા કોઈ પોલીસ સ્ટેશનમાં તેની જાણકારી કરવાની રહેશે તેમજ આ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલની પણ લેખિત સ્વીકૃતિ લેવાની રહેશે”.
બીજી બાજુ એસડીએમના આ આદેશ બાદ દલિત સંગઠનોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એસડીએમ વિરુધ કાર્યવાહી કરવા માટે પણ માંગ કરી છે. આ ઉપરાંત ઉજ્જૈન કલેકટરે પણ આ આદેશને બદલવા માટે કહ્યું છે.
તમને જણાવી દઈએ કે, ૩૦ એપ્રિલના રોજ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગોવર્ધનપુરા ગામમાં એક દલિત વ્યક્તિને પોતાના વરઘોડા દરમિયાન ઘોડા પર સવારી કરવાના કારણે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને ગામના કેટલાક લોકોએ ઘોડા પરથી ઉતરવા માટે પણ મજબુર કર્યો હતો.
જો કે આ ઘટના બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને ૭ લોકોની ધરપકડ પણ કરી છે.
મહત્વનું છે કે, આ પહેલા ગુજરાતમાં પણ એક ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા એક દલિત યુવક દ્વારા ઘોડો ખરીદ્યા બાદ તેની પર ચઢવા બાબતે તેની હત્યા કરવામાં આવી હતી.