બેંગલુરુ,
૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ પાંચમીવાર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ૮૨ મિનિટ સુધી ચાલેલા આ સંબોધનમાં તેઓએ પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા કામો અંગે જણાવ્યું હતું અને સાથે સાથે વર્ષ ૨૦૨૨ સુધી યાન લઈને કોઈ પણ ભારતીય અંતરિક્ષમાં પહોચશે એવું એલાન કર્યું હતું.
પીએમ મોદીની આ ખાસ ઘોષણા બાદ ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ પોતાની પ્રતિબદ્ધતા જતાવી છે. ઇશરોના ચેરમેને કહ્યું, “આ લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રાથમિકતાના ધોરણે અત્યારથી લાગી જવાની જરૂરત છે”.
ઈસરોના ચેરમેન કે શવિને વધુમાં જણાવ્યું હતું કે, “પીએમએ ૨૦૨૨નું લક્ષ્ય આપ્યું છે અને આ અમારી જવાબદારી છે કે તેને પૂર્ણ કરવામાં આવે. અમે પહેલાથી જ આ મિશન પર કામ કરી રહ્યા છે. ઘણી ટેકનોલોજી જેવી કે મોડ્યુલ અને એસ્કેપ સિસ્ટમ પર કામ પૂર્ણ થઇ ચુક્યું છે. આ પ્રોજેક્ટમાં વૈજ્ઞાનિકો લાગેલા છે, ત્યારે હવે આ લક્ષ્યને હાંસલ કરવા માટેની દિશામાં પ્રાથમિકતા સાથે કામ કરવાની જરૂરત છે”.
જો કે ગગનયાન ૨૦૨૨ સાથે જોડાયેલા એક વૈજ્ઞાનીકે જણાવ્યું, “આ મિશન માટે એક મોટું રોકેટ અને અંતરિક્ષ યાત્રા માટેની ટ્રેનિંગ એ સૌથી મોટો પડકાર છે.
લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ કર્યું હતું એલાન
મહત્વનું છે કે, ૭૨માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધતા આ એલાન કર્યુ હતું. તેઓએ આ અંગે જણાવતા કહ્યું, “હું આજે દેશવાસીઓને એક ખુશખબરી આપવા માંગું છું. વર્ષ ૨૦૨૨માં જયારે દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યો હશે ત્યારે માં ભારતી કોઈ પણ દીકરો કે દીકરી અંતરિક્ષમાં જશે. તેઓના હાથમાં રાષ્ટ્ર્દવ્જ હશે. ભારત માનવીને અંતરિક્ષમાં પહોચાડનારો દુનિયાનો ચોથો દેશ બનશે”.
મહત્વનું છે કે, આ મિશન માટે ભારતની સ્પેસ એજન્સી ઇશરો દ્વારા પહેલેથી પ્રયાસો લગાવવામાં આવી રહ્યા છે અને આ માટે અંદાજે ૯ હજાર કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે”.