નવી દિલ્હી,
મુસ્લિમ સમુદાયની મહિલાઓને રક્ષણ આપતા ટ્રિપલ તલાક બીલને સંસદના નીચલા ગૃહ લોકસભામાં વર્તમાન મોદી સરકાર પસાર કરવામાં સફળ રહી છે, ત્યારબાદ હવે સોમવારે સરકારનો રાજ્યસભામાં ટેસ્ટ થવાનો છે.
રાજ્યસભામાં સાંસદોનું ગણિત જોવામાં આવે તો, ઉપલા ગૃહની કુલ સંખ્યા ૨૪૪ છે, જેમાં ૪ સભ્ય નામિત છે. વર્ષ ૨૦૧૪ બાદ કેન્દ્રની મોદી સરકાર અને NDA ગઠબંધનની તાકાતમાં વધારો થયો છે, પરંતુ આ સંખ્યા એટલે સુધી પહોંચી નથી કે તેઓ આ બીલ સર્વાનુમતે પસાર કરાવી શકે.
જોવામાં આવે તો, રાજ્યસભામાં હાલમાં NDAના ૯૭ સાંસદો છે, જેમાં ભાજપના ૭૩, JDUના ૬, ૫ અન્ય, શિવસેનાના ૩, અકાલી દળના ૩ સહિતના સભ્યો છે, પરંતુ બહુમતીથી આ આંકડો હજી ઘણો દૂર છે. આ પરિસ્થિતિમાં ટ્રિપલ તલાક મુદ્દે અગ્નિપરીક્ષા થઇ શકે છે.
બીજી બાજુ ટ્રિપલ તલાક મુદ્દે રાજ્યસભામાં થનારી ચર્ચા અંગે ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વ્હીપ જાહેર કરાયો છે અને પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે કહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટ્રિપલ તલાક બીલ લોકસભામાં પસાર કરવામાં આવી ચુક્યું છે. લોકસભામાં ટ્રિપલ તલાક બીલ અંગે હાથ ધરાયેલા વોટિંગમાં ગૃહમાં ઉપસ્થિત ૨૫૬ માંથી ૨૪૫ સાંસદોએ બીલના પક્ષમાં વોટિંગ કર્યું હતું, જયારે અન્ય ૧૧ સભ્યોએ વિરોધમાં પોતાનો મત આપ્યો હતો.