દિલ્હી,
ગત ૮ સપ્ટેમ્બરના રોજ ગુરુગ્રામની રેયાન ઇન્ટરનેશનલ સ્કુલમાં થયેલા ૧૧ વર્ષીય પ્રદ્યુમન મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી સીબીઆઈની ટીમે આ જ સ્કુલમાં ૧૧ મા ધોરણમાં અભ્યાસ કરતા ૧૬ વર્ષીય વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીની પુછપરછ કરવામાં આવી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીએ પરીક્ષા અને પેરેન્ટસ ટીચિંગ મિટિંગ પાછી ઠેલવા માટે આ હત્યા કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સીબીઆઇના સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે આ વિદ્યાર્થીએ પરીક્ષા પાછી ઠેલાય તે માટે પણ પ્રદ્યુમનની હત્યા કરી હતી.
આ બનાવની તપાસ દરમિયાન ઘણા વૈજ્ઞાનિક પુરાવાઓ પ્રાપ્ત થયા છે. તેમજ સીસીટીવી ફૂટેજમાં પણ તે જોવા મળી રહ્યો છે. સીબીઆઇ આજે બપોરે આરોપીને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરશે.
સીબીઆઇ દ્વારા અટકાયત કરાયેલા વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે, તેમનો પુત્ર નિર્દોષ છે. સીબીઆઈએ પહેલાથી 4-5 વખત તેને પૂછપરછ કરી છે. ગુરુગ્રામ પોલીસે તપાસ દરમિયાન સીઆરપીસીની કલમ 164 હેઠળ તેમનું નિવેદન નોંધ્યું છે. નોધનિય છે કે, સૌ પ્રથમ તેમના દીકરાએ જ શાળા માળીને આ બનાવ અંગે આરોપી જણાવ્યો હતો.