લખનઉ,
ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાંથી એક દર્દનાક ઘટના સામે છે, જ્યાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીના કારણે મલ્ટીનેશનલ કંપનીના મેનેજરનું મોત થયું છે.
મળતી માહિતી મુજબ, શુક્રવાર રાત્રે લખનઉના VVIP વિસ્તાર ગોમતીનગરથી જયારે એપલ કંપનીના મેનેજર વિવેક તિવારી સાથી કર્મીને ડ્રોપ કરવા માટે આવી રહ્યા હતા, ત્યારે ફરજમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરીએ તેઓને ગાડી રોકવા માટે કહ્યું હતું. પરંતુ વિવેક તિવારીએ ગાડી ન રોકતા કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી અને તે તેઓના માથામાં જઈને વાગી હતી. આ કારણે વિવેક તિવારીનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.
આ મામલે હત્યાનો કેસ નોધીને આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ પોલીસ કોન્સ્ટેબલનું કહેવું છે કે, “તેઓએ પોતાના સ્વબચાવમાં ગોળી ચલાવી હતી, કારણ કે વિવેક તિવારીએ આ સમયે કથિત રીતે મારી પર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો”.
કોન્સ્ટેબલે ગાડી દોડાવીને મારી ગોળી
જો કે આ ઘટના સમયે વિવેક તિવારી સાથે ગાડીમાં ઉપસ્થિત સાથી કર્મી સના ખાને જણાવ્યું હતું કે, “શુક્રવાર રાત્રે જયારે તેઓ વિવેક તિવારી સાથે પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન CMS ગોમતીનગર વિસ્તાર પાસે તેઓની ગાડી ઉભી હતી ત્યારે સામેથી બે પોલીસકર્મીઓ આવ્યા હતા. આ સમયે તેઓએ પોલીસકર્મીઓથી બચવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ સિપાહીઓએ બાઈક દોડાવીને વિવેકને ગોળી મારી હતી.
આ કોઈ ઘટના નહિ પણ હત્યા છે : મૃતક વિવેકની પત્ની
જો કે આ ઘટના અંગે પોલીસ દ્વારા કરાયેલા દાવાઓ અંગે મૃતક વિવેકની પત્ની કલ્પનાએ સવાલો ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, આ કોઈ ઘટના નથી પણ હત્યા છે. પોલીસે મારા પતિની ગોળી મારીને હત્યા કરી છે”.
તેઓએ વધુમાં કહ્યું, “પોલીસને મારા પતિ પર ગોળી શા માટે ચલાવવામાં આવી. મારી પતિ સાથે રાત્રે ૧.૩૦ વાગ્યે વાત થઇ હતી અને આ સમયે સના વિવેક સાથે હતી, મને એ અંગે જાણકારી હતી”.
બીજી બાજુ લખનઉ SSP કલાનિધિ નૈથાનીએ કહ્યું, “ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં IPCની ધારા ૩૦૨ હેઠળ હત્યાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે અને, આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી ચુકી છે”.