નવી દિલ્હી,
પાંચ રાજ્યોમાં હાલમાં જ સમાપ્ત થયેલી વિધાનસભાની ચૂંટણી બાદ વિપક્ષી પાર્ટીઓ હવે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ લાગી ગઈ છે અને મહાગઠબંધનને લઈ કવાયત હાથ ધરાઈ છે, ત્યારે ગુરુવારે રાજધાની દિલ્હીમાં મળેલી બેઠકમાં ઉપેન્દ્ર કુશવાહ મહાગઠબંધનમાં શામેલ થયા છે.
મહાગઠબંધનબે લઈ હાથ ધરાયેલી બેઠકમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હિન્દુસ્તાન આવામ મોર્ચાના નેતા જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
ઉપેન્દ્ર કુશવાહાને મહાગઠબંધનમાં શામેલ થવા અંગે અહેમદ પટેલે કહ્યું, “બિહારમાં એક ગઠબંધન છે, આ ખુશીનો વિષય છે કે ઉપેન્દ્ર કુશવાહ મહાગઠબંધનમાં શામેલ થઇ રહ્યા છે અને અમે તેઓનું સ્વાગત કરીએ છીએ”.
બીજી બાજુ ર RJD નેતા તેજસ્વી યાદવે જણાવ્યું “NDAએ દેશભરમાં પોતાની ગઠબંધનની પાર્ટીઓ ગુમાવવાનું કામ કર્યું છે. યુપીથી લઈ મહારાષ્ટ્ર સુધી દરેક જગ્યાએ ભાજપની સાથી પાર્ટીઓ નારાજ છે”.
સૂત્રોનું માનીએ તો બિહારની ૪૦ લોકસભા બેઠકો માટે ફોર્મુલા નક્કી માનવામાં આવી રહ્યો છે. આ ૪૦ બેઠકોમાં કોંગ્રેસને ૮-૧૨, RJDને ૧૮-૨૦, RLSPને ૪-૫, HAMને ૧-૨ બેઠક અને CPM-CPIને ૧-૧ સીટ મળી શકે છે.
આ ઉપરાંત શરદ યાદવની લોજ્દ પાર્ટીને ૧-૨ બેઠક મળી શકે છે.