નવી દિલ્હી,
સંસદના શિયાળુસત્રનો બુધવારે ૧૮મો દિવસ છે, ત્યારે રાજ્યસભામાં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા જનરલ કોટા બીલને પસાર કરવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન વિપક્ષી પાર્ટીઓ દ્વારા સતત હંગામો કરવામાં આવી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા સામાન્ય વર્ગના આ બીલને પસાર કરાયું છે.
મોદી સરકારમાં સામાજિક ન્યાય મંત્રી થાવરચંદ ગહલોત દ્વારા સામાન્ય વર્ગના અનામત આપવા માટેનું ૧૨૪મું સંશોધન બીલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે.
જયારે બીજી બાજુ DMK સાંસદ કનિમોઝીએ આ બીલને સિલેકટ કમિટી પાસે મોકલવાની માંગ કરી છે.
આ પહેલા મંગળવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં આ બીલ મુદ્દે થયેલી લાંબી ચર્ચા બાદ અંતે વોટિંગ દ્વારા પસાર કરાયું હતું. સામાન્ય વર્ગ માટેના આ બીલના સમર્થનમાં ૩૨૩ વોટ પડ્યા પડ્યા જયારે ૩ સભ્યોએ બિલનો વિરોધ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.
મોદી સરકારના આ નિર્ણયને આવકારતા પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ગરીબ સવર્ણોને અનામત મળવી જોઇએ. પીએમ મોદીની નીતિ છે કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’, સરકારે સવર્ણોને તેમનો હક આપ્યો છે. પીએમ મોદી દેશની જનતા માટે કામ કરી રહ્યા છે”.