દિલ્લી,
આજથી લગભગ ૪ વર્ષ પહેલા ઈરાકમાં ISIS દ્વારા મારવામાં આવેલા ૩૮ ભારતીયોના મૃતદેહ ભારત પરત લાવવા માટે વિદેશ રાજ્યમંત્રી વી કે સિંહ મોસુલ રવાના થયા છે. જનરલ વી કે સિંહ વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા મોસુલ જવા માટે રવાના થયા છે.
મોસુલ રવાના થતા પહેલા વી કે સિંહે જણાવ્યું હતું કે, “હું મૃત્યુ પામેલા ૩૮ ભારતીયોના અવશેષો પાછા લાવવા માટે ઈરાક જઈ રહ્યો છું. અમને ૩૯મો મૃતદેહ મળ્યો નથી, કારણ કે તેનો કેસ હજી સુધી ફાઈનલ થઇ શક્યો નથી. યોગ્ય પુરાવાઓ સાથે પરિવારને દેહ આપવામાં આવશે, જેથી તેઓની શંકા દૂર થઇ શકે”.
ઈરાકના રક્ષા મંત્રાલય દ્વારા લેન્ડિંગ માટે ગ્રીન સિગ્નલ ન મળવાના કારણે વી કે સિંહ થોડાક વિલંબ બાદ જઈ શક્યા હતા. આ પહેલા તેઓ સતત ઈરાકની પ્રશાસન સાથે સંપર્કમાં હતા અને અનુમતિ મળવાની સાથે જ તેઓ એરફોર્સના વિશેષ વિમાન સી-૧૭માં મોસુલ રવાના થયા હતા. વિદેશ મંત્રાલયના કાર્યક્રમ મુજબ, તેઓ મૃત્યુ પામેલા તમામ દેહોની સાથે ૨ એપ્રિલના રોજ ભારત પરત ફરશે.
ભારત પરત ફર્યા પછી વી કે સિંહે સૌથી પહેલા પંજાબના અમૃતસર જશે અને પરિવારોને મૃત્યુ પામેલા તમામ લોકોના અવશેષો આપશે. નોધનીય છે કે, મૃત્યુ પામેલા ૩૮ વ્યક્તિઓમાંથી સૌથી વધુ પંજાબના હતા. જો કે ત્યારબાદ તેઓ પટના અને કોલકત્તા જઈને પરિવારજનોને અવશેષો સોપશે.
ગત ૨૦ માર્ચે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કર્યો હતો ખુલાસો
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં ૨૦ માર્ચના રોજ જણાવ્યું હતું કે, જૂન, ૨૦૧૪માં મોસુલમાં માર્યા લાપતા થયેલા તમામ ભારતીયોનું ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા ચકાસણી કરવામાં આવી ચૂકી છે. તમામ દેહોને જોવામાં આવી રહ્યા છે ત્યારબાદ અવશેષોને બહાર કાઢીને તેઓના ડીએનએ મેચ કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કુલ ૩૯ મૃતદેહમાંથી ૩૮ના DNA તમામ રીતે મેચ કરવામાં આવી ચુક્યા છે જયારે અન્ય એક દેહનું ૭૦ ટકા ડીએનએ મેચ થયું છે. જેનાથી સાબિત થશે કે મોસુલમાં લાપતા થયેલા તમામ ભારતીયોના મોત થઈ ચુક્યા છે.