નવસારી,
નવસારીના ખેરગામ તાલુકાના ધામધુમા ગામે લોકોને પાણી મળેએ માટે પાણી પુરવઠા દ્વારા ૨૪ જેટલી ટાંકી બનાવી છે. જેમાંથી ૨૦ થી વધુ ટાંકીઓ બંધ રહેતા ગામ લોકો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે.
ગુજરાત સરકાર દરેક ગામ સુધી વિકાસ પહોચ્યો હોવાની વાતો કરી રહી છે. ત્યારે ખેરગામ તાલુકાના ધામધુમા ગામે આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.
ધામધુમા ગામ કે જ્યાં ગામલોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા સીંટેક્સની અને સિમેન્ટની મળી અંદાજીત ૨૪ જેટલી ટાંકીનું નિર્માણ કરી દરેક ફળીયામાં પાણીની લાઈનો પણ નાંખી દેવામાં આવી છે.
એ શોભાના ગાંઠિયા સમાન રહેતા ગામના લોકોએ આજે પણ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ અંગે ગામ લોકો તેમજ સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજુઆત કરવામાં આવી છે.
પરંતુ પાણી પુરવઠા અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી.તો પાણી પુરવઠા વિભાગ દ્વારા એક જ ગામમાં અસંખ્ય ટાંકીઓ બનાવી એક રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય એમ કહેવામાં આવે તો કાંઈ ખોટું નથી.