Nepal Flood MEA Update 288 Indians Missing: નેપાળમાં(Nepal) આવેલા વિનાશક પૂરને કારણે સ્થિતિ હજુ પણ ગંભીર છે. આ કુદરતી આફત બાદ અનેક લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે હાલમાં 288 ભારતીય નાગરિકો સાથે સંપર્ક થઈ રહ્યો નથી. ભારતીય અધિકારીઓ નેપાળ સરકાર અને સ્થાનિક તંત્રના સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે વાત કરીને દુર્ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. ભારતે નેપાળના લોકો સાથે એકતામાં ઊભા રહેવાની અને જરૂરિયાત મુજબ તમામ શક્ય મદદ આપવાની ખાતરી આપી છે.
ત્રિશૂલી પાવર પ્રોજેક્ટના 73 લોકો લાપતા
લાપતા ભારતીયોમાં 73 લોકો ત્રિશૂલી-1 પાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ પ્રોજેક્ટના અધિકારીઓના સંપર્કમાં છે અને આ લોકો અંગે વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નેપાળની(Nepal) પૂર પરિસ્થિતિ માટે ભારતીય વિદેશ મંત્રાલયમાં વિશેષ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. લાપતા ભારતીયોમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લોકોના કેટલાક જૂથો પણ સામેલ છે. તમિલનાડુના એક જૂથમાં 37 અને બીજા જૂથમાં 49 લોકો હોવાની માહિતી આપવામાં આવી છે. આ યાત્રાળુઓ ટ્રાવેલ કંપનીઓ મારફતે નેપાળ પહોંચ્યા હતા.

પાંચ મુખ્ય જૂથોમાં 288 ભારતીયો
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ લાપતા ભારતીયોના પાંચ મુખ્ય જૂથ છે. તેમાં ત્રિશૂલી-1 પ્રોજેક્ટના 73 લોકો ઉપરાંત તમિલનાડુના બે જૂથ, પશ્ચિમ બંગાળના 32 લોકો, વિવિધ રાજ્યોના 61 લોકો અને કેરળના 33 લોકોનો સમાવેશ થાય છે. આ તમામ જૂથોમાં મળીને કુલ 288 ભારતીયો છે.
જયશંકરે કરી સમીક્ષા બેઠક
વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ નેપાળની(Nepal) સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમાં વિદેશ સચિવ, મંત્રાલયના અધિકારીઓ તેમજ કાઠમંડુ અને બેઇજિંગમાં રહેલા ભારતીય રાજદૂતો વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. જયશંકરે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેલા તમામ ભારતીયોની સ્થિતિ જાણવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકાર વિવિધ મંત્રાલયો, રાજ્ય સરકારો, ટ્રાવેલ ઓપરેટરો અને નેપાળના અધિકારીઓ સાથે સંકલન કરી રહી છે. નેપાળના અધિકારીઓ અનુસાર, આ વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 177 લોકોનાં મોત થયા છે.
આ પણ વાંચો:નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા
આ પણ વાંચો:નેપાળમાં તિબેટથી આવેલા ભયંકર પૂરથી ભારે તબાહી, 1000 લોકોના વહી જવાની આશંકા
આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત
