@રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2000 થી 2005 કોંગ્રેસ સત્તામાં આવી અને પૂર્વ વિસ્તારમાં કેટલાય વોર્ડમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. એવા સમયે પોટલિયા વોર્ડથી પ્રથમ વાર કોર્પોરેટર બનનાર કિરીટ પરમાર (Kirit Paramar) આજે ત્રીજી ટર્મમાં ચૂંટાઈને અમદાવાદના મેયર તરીકે બિરાજમાન થયા છે. કિરીટ પરમારે એમ.એ. બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે.
કિરીટ પરમાર પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયા (Gordhan zadafia) ના ખાસ વિશ્વાસુ ગણાય છે. છેલ્લા 15 વર્ષમાં ગોરધન ઝડફિયાના રાજકીય ઉતર ચઢાવની અસર કિરીટ પરમારના રાજકીય જીવન પર રહી છે.
ગોરધન ઝડફિયાએ 2005 પછી ભાજપ સાથે છેડો ફાડ્યો અને સતત 10 વર્ષ સુધી તેઓ ભાજપ (BJP) સામે પોતાની પાર્ટી બનાવી ચૂંટણી લડી રહ્યા હતા. જો કે કિરીટ પરમારે ભાજપ છોડી નહતી, પરંતુ તેઓ ગોરધન ઝડફિયાના ખાસ હોવાથી 10 વર્ષ સુધી તેમને ટિકિટ મળી ન હોતી.
2005 અને 2010ની ટર્મમાં તેમને ટિકિટ મળી નહોતી. જો કે 2015માં તેમને સરસપુર રખિયાલ વોર્ડમાંથી ટિકિટ મળી હતી. તેમજ તેઓ અહીંથી જીત્યા પણ હતા. આ વખતે 2021માં તેઓ ઠક્કરબાપા નગરથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે. ગોરધનભાઈ ભાજપમાં પરત આવતા કિરીટ પરમારનો પણ રાજકીય વનવાસ પૂરો થયો હતો. તેમજ તેમને આજે મેયર પદ પણ મળ્યું.
નવા ચૂંટાયેલા કિરીટ પરમારની આ કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મ છે. કિરીટ પરમાર ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. હાલ પણ કિરીટ પરમાર બાપુનગરમાં આવેલી વીરા ભગતની ચાલીમાં પતરાવાળા મકાનમાં રહે છે. કિરીટ પરમાર વર્ષોથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રચારક છે. આજે પણ તેઓ સવાર-સાંજ શાખામાં જાય છે. કિરીટ પરમાર અપરણિત છે અને એકલાજ રહે છે. તેઓ સામાન્ય સ્થિતિમાં રહીને પ્રજાના કામ કરે છે. મેયર પદ માટે નામની જાહેરાત થયા બાદ તેઓ ભાવુક થઈ ગયા હતા અને મીડિયા સામે ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો.