પાણી, જમીન અને આકાશ, હવે આ ત્રણેય પર ભારતનું વર્ચસ્વ રહેશે. ચંદ્રયાન બાદ જમીન અને આકાશમાં વર્ચસ્વ સ્થાપિત કર્યા બાદ ભારત હવે સમુદ્રમાં પણ ડૂબકી મારવાની તૈયારીમાં છે. આ સમુદ્રી અભિયાનમાં ત્રણ વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. આ વૈજ્ઞાનિકો ખાસ સ્વદેશી સબમરીન દ્વારા પ્રથમ વખત સમુદ્રની નીચે 6000 મીટર સુધી ડૂબકી મારશે. અહીં સમુદ્રના ઊંડાણમાં છુપાયેલા ખનીજોના રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. તેનાથી ભારતને ઘણું આર્થિક બળ મળવાની શક્યતા છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્રને જણાવ્યું કે, 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 500 મીટરની ઊંડાઈએ વિશેષ સ્વદેશી સબમરીનનું સમુદ્રી પરીક્ષણ કરવામાં આવશે. આ મિશન 2026 સુધીમાં શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીન સહિતના કેટલાક દેશોએ જ માનવયુક્ત સબમરીન વિકસાવી છે. ભારતની સબમરીનમાં 96 કલાક ઓક્સિજનનો પુરવઠો રહેશે. તેને 12થી 16 કલાક સુધી સતત ચલાવી શકાય છે.
ભારત સમુદ્ર મંથન કરશે
દરિયો માત્ર પુષ્કળ પાણીનું સ્થળ નથી પણ તેમાં અપાર સંપત્તિનું સ્થાન પણ છે. પુરાણોમાં નોંધાયેલું સમુદ્ર મંથન તેનો પુરાવો છે. આધુનિક સમયમાં પેટ્રોલિયમ પણ તેનું ઉદાહરણ છે. જેને ધ્યાનમાં રાખીને હવે મોદી સરકાર પણ સમુદ્ર મંથન કરવાની તૈયારીમાં છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઊંડા સમુદ્રમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. સમુદ્ર હવે માત્ર પ્રવાસ, પર્યટન કે ફરવા માટેનું સ્થળ નહીં રહે પરંતુ તે ભારતની આર્થિક ક્રાંતિનો પાયાનો પથ્થર પણ બની રહેશે.
એક ખાસ સબમરીન તૈયાર કરવામાં આવી છે
સબમરીનનું નામ ‘મત્સ્ય 6000’ છે, જેનું પ્રથમ પરીક્ષણ જાન્યુઆરી 2024 માં હાથ ધરવામાં આવશે. તેને ચેન્નાઈ કિનારે બંગાળની ખાડીમાં ઉતારવાની તૈયારી ચાલી રહી છે. ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ઊંડા સમુદ્રમાં ઉતરેલા પ્રવાસીઓના મોત બાદ સબમરીનના નિર્માણને લઈને ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીના ડિરેક્ટર જીએ રામદાસે જણાવ્યું કે, ‘મત્સ્ય 6000’નો 2.1 મીટર વ્યાસનો ગોળા ત્રણ લોકો માટે બનાવવામાં આવી રહ્યો છે. આ ગોળાને 80 મીમી જાડા ટાઇટેનિયમ એલોયથી 6,000 મીટરની ઉંડાઇએ 600 બારના દબાણ અને દરિયાની સપાટી પર 600 ગણા દબાણનો સામનો કરવા માટે બનાવવામાં આવી રહ્યો છે.
વૈજ્ઞાનિકોને સમુદ્રમાં ખજાનો મળશે
તેના દ્વારા કોબાલ્ટ, નિકલ, મેંગેનીઝ જેવી અનેક મૂલ્યવાન ધાતુઓ શોધવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારત સરકારે આ માનવયુક્ત મિશન માટે લગભગ 4 હજાર 77 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મહાસાગર સંશોધનને પાંચ વર્ષમાં વિવિધ તબક્કામાં લાગુ કરવામાં આવશે.
‘મત્સ્ય 6000’ મિશન શું છે?
આ ભારતનું પ્રથમ ઊંડા સમુદ્ર મિશન છે. આ અંતર્ગત ત્રણ લોકો 6000 મીટર નીચે દરિયામાં કિંમતી ધાતુઓની શોધ કરશે. આ ખાસ સબમરીન ‘મત્સ્ય 6000’ને ચેન્નાઈ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી રહી છે. આ સમગ્ર મિશનમાં 12 કલાકનો સમય લાગશે પરંતુ ઈમરજન્સીની સ્થિતિમાં તેને 96 કલાક માટે તૈયાર કરવામાં આવી છે. આ 6000 કરોડ રૂપિયાના દરિયાઈ અભિયાનનો એક ભાગ છે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે જૂન 2021માં આ યોજનાને મંજૂરી આપી હતી. તેના માધ્યમથી ભારત સરકાર બ્લુ ઈકોનોમીને નવા સ્તરે લઈ જવા માંગે છે. ઊંડા સમુદ્રમાં અન્ય ઘણા મૂલ્યવાન પદાર્થોની શોધ થશે. આ સાથે ઘણી નવી ટેક્નોલોજી પણ આવશે જે દરિયાઈ સંશોધન અને સુરક્ષામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો: Suicide/ પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી શિક્ષકે જીવન ટુંકાવ્યું, આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો
આ પણ વાંચો: Nitin Gadkari/ ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા
આ પણ વાંચો: Gujarat/ શું ગુજરાત સરકારનું કોમન યુનિવર્સિટી બિલ માનહાનિના કેસમાં મજબુત હશે કેજરીવાલની દલીલ, ચાલો જોઈએ