Dharma: શ્રાવણ મહિનાના સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ (Somavati Amas) કહેવાય છે, હિંદુ ધર્મની માન્યતા મુજબ આ તિથિ ખૂબ દુર્લભ તિથી મનાય છે. આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આવતી અમાસના રોજ સ્નાન અને દાન-પુણ્ય કરવાનો શુભ સમય ગણાય છે, આ દિવસે પિતૃદોષમાંથી મુક્ત થવા માટે પણ વિશેષ ઉપાયો કરવામાં આવે છે.
સોમવતી અમાસ ભગવાન શિવ અને ગ્રહોમાં ચંદ્રને સમર્પિત મનાય છે. શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સોમવતી અમાસ તિથિ 2જી સપ્ટેમ્બરે આજે સવારે 5:21 વાગ્યે શરૂ થઈ અને 3જી સપ્ટેમ્બરે સવારે 7:54 વાગ્યે સમાપ્ત થશે. મહત્વનું છે કે આ વર્ષે શ્રાવણ સોમવતી અમાસ પર, શિવ યોગ અને સિદ્ધિ યોગનો મહાસંયોગ રચાય છે.

શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે શિવ ભક્તિ અને ચંદ્રની પૂજા કરવાનો મહિમા છે, સૂર્ય અને ચંદ્ર મિત્રો શિવના મિત્રો છે. સૂર્ય અને ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ પણ કહીએ છીએ. અમાસના આ શુભ સંયોગ પર ભક્તિ, દાન પુણ્ય તેમજ શ્રાદ્ધ કાર્ય કરવાનો મહિમા છે. અમાસના દિવસે શ્રદ્ધા પૂર્વકની ભક્તિથી પાપનો નાશ થાય છે. શાસ્રો મુજબ શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વધુ વાંચવા. આ પાઠથી સૌભાગ્યની પ્રાપ્તિ, સંતાન સુખ, આયુષ્ય અને આકસ્મિક દુર્ઘટના સામે રક્ષણ મળે છે. એવું માનવામાં આવે છે કે સ્નાન અને દાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે.
સોમવતી અમાસના દિવસે શિવ પર જળાભિષેક, પંચામૃત અભિષેક કરવા જોઈએ. શિવના કોઈપણ સ્તોત્રનો પાઠ કરી શકાય છે. આ દિવસે રૂદ્ર, લઘુ રૂદ્રના યજ્ઞ પણ કરવામાં આવે છે. રૂદ્રાક્ષ ધારણ કરવાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવો. સૌભાગ્યવતી સ્રીઓ શિવની આરાધના કરી લગ્નજીવનને મધુર રાખી શકે છે. ઓમ નમ: શિવાયનો મંત્ર સતત જપવાથી દરેક પ્રકારના કષ્ટોમાંથતી મુક્તિ મળે છે તેમ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે.

સોમવતી અમાસનું શું મહત્વ છે?
પુરાણો અનુસાર, સોમવતી અમાસના દિવસે પરિણીત મહિલાઓને તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખવું જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી હજારો ગોદાનનું ફળ મળે છે. સોમવતી અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી-દેવતાઓનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો. આ પછી સ્નાન કરી સૂર્યનારાયણને જળ ચઢાવો. આ પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળના વૃક્ષની પણ પૂજા કરવામાં આવે છે.
અમાસના દિવસે ગંગા સ્નાન શુભ મનાય છે. યથાશક્તિ મુજબ દાન-પુણ્ય કરવું લાભદાયી મનાય છે. દર અમાસે પિતૃતર્પણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાનને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. પીપળામાં પિતૃઓનો વાસ હોવાથી તેની પણ પૂજા કરવી જોઈએ. ભક્તોએ ધ્યાન રાખવું કે આ દિવસે તામસિક ખોરાક જેવા કે લસણ, ડુંગળી, માંસ, મદિરાથી દૂર રહેવું. સોમવતી અમાસના દિવસે તુલસીની પૂજા કરવાની મનાઈ કરઈ છે.

પિતૃદોષથી મુક્તિ મેળવવાના ઉપાય
જો તમે ગ્રહ દોષ કે પિતૃદોષની સમસ્યાથી પીડાઓ છો તો સમોવતી અમાસ પર પિતૃઓને કાળા તલથી જળ અર્પણ કરો. ધનની સમસ્યાથી પીડાતા હોવ તો ચોખા અને દૂધનું દાન કરવાથી આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મળે છે અને નારાજ પિતૃઓ પણ ખુશ થાય છે. જો કોઈ વ્યક્તિ રાહુદોષથી હેરાન હોય અને તેની કુંડળીમાં રાહુદોષ હોય તો સોમવતી અમાસે દીવામાં સરસવનું તેલ અને લવિંગ નાખી પીપળના ઝાડ નીચે દીવો કરવો.

આ 3 દાન અવશ્ય કરો
સોમવતી અમાસ નિમિત્તે ભગવાનનું દાન, પિતૃઓનું દાન અને ગ્રહોનું દાન કરવાની પરંપરા છે.
દેવદાન
સોમવતી અમાસે દેવતાઓને પ્રસન્ન કરવા વસ્ત્રોનું દાન કરો. લાલ, પીળા, લીલા, વાદળી વગેરે રંગોના વસ્ત્રો ભગવાનને દાન કરી શકો છો.
પિતૃદાન
પૂર્વજોને ખુશ કરવા માટે સોમવતી અમાસ પર ધન દાન, ભોજનનું દાન કરવું.
ગ્રહદાન
આજના દિવસે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું. ચાંદી, સફેદ વસ્ત્રો, દહીં, ખીર, ખાંડની મીઠાઈ, આખા ચોખા, મોતીનું દાન કરી શકાય છે.

આ પણ વાંચો:મહિલાઓએ શિવજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ? દેવાધિદેવ પ્રસન્ન થશે
આ પણ વાંચો:શિવ અને શક્તિ વચ્ચે શું છે સંબંધ…ક્યારે પૂજા કરવી જોઈએ?
આ પણ વાંચો:રુદ્રાભિષેકનું મહત્વ: ભગવાન શિવને રૂદ્રાભિષેક કેવી રીતે કરવામાં આવે છે? જાણો બધું જ…
