સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. વિપક્ષી પાર્ટીઓએ પેગાસસ જાસૂસી કેસ, પૂર્વી લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી, ખેડૂતો અને બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને તે દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ એ જ દિવસે વર્ષ 2021-22 માટે આર્થિક સર્વે રજૂ કરશે. નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
સંસદીય બાબતોના રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે, “સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે અને વિરોધ પક્ષ દ્વારા જે પણ મુદ્દા ઉઠાવવામાં આવશે તેના પર વિચારણા કરવામાં આવશે.”
મુખ્ય વિપક્ષ કોંગ્રેસે બજેટ સત્રમાં કોરોના પ્રભાવિત પરિવારો માટે રાહત પેકેજ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને લગતા મુદ્દાઓ, સરહદ પર ચીન સાથેની ગતિરોધ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો નિર્ણય લીધો છે. પાર્ટીનું કહેવું છે કે સરહદ પર ચીનની વધતી આક્રમકતા અને તેના પર ચાલી રહેલી ગતિરોધ, મોંઘવારી, બેરોજગારી, અર્થવ્યવસ્થાની સ્થિતિ, એર ઈન્ડિયાનું ખાનગીકરણ અને અન્ય સરકારી કંપનીઓ અને ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ માંગવામાં આવશે.